કેન્દ્ર સરકારે ૨૦૧૮ પછી આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓના વેતનમાં આઠ વર્ષ પછી પણ કોઈ વધારો કર્યો નથી જેથી આંગણવાડી કાર્યકરોના પરિવારો આર્થિક મુશ્કેલી ભોગવી રહયા છે ત્યારે શુક્રવારે હિંમતનગરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અનેક કાર્યક્રમો યોજીને આંદોલનો કરી સરકારને ન્યાય આપવા માટે ગુહાર લગાવી છે ત્યારે તાજેતરમાં આ મુદ્દે સંગઠનના અગ્રણીઓએ મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સત્વરે માંગણીઓ ઉકેલવા માટે અપીલ કરી હતી.
આ અંગે સાબરકાંઠા એકમના અગ્રણી દિનેશ પરમાર, મિનાબેન પટેલ તથા મિનાબેન પઢીયાર સહિત અન્યોના જણાવાયા મુજબ સાબરકાંઠા સહિત ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલાઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી હતી. છતાં એક વર્ષ બાદ પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. અગાઉ આ મામલે અમદાવાદમાં રેલીઓ યોજવામાં આવી હતી.
એટલુ જ નહીં પણ રાજય સરકારે તથા કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં આંગણવાડી કાર્યકરોના વેતન વધારા માટે કોઈ જોગવાઈ કરી ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ આ સંજોગોમાં ઓછા વેતનમાં ઓફ લાઈન અને અનેક નવી એપ્લિકેશનના કામ કરતી બહેનોની ધીરજ ખુટી છે. દરમ્યાન તાજેતરમાં આંગણવાડી કાર્યકરોએ ત્રણ દિવસ રજા મૂકી કામથી અળગા રહયા હતા. તથા શુક્રવારે હિંમતનગરની જિલ્લા પંચાયત કચેરીમાં ધરણા કર્યા હતા. આંગણવાડી કર્મચારીની માંગણી છે કે જો હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં કામ કરતા બ્રહ્માણીનગર અને બેરણા રોડ પર આવેલ સોસાયટીમાં બે જણાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કા બનાવતા હોવાની માહિતીના આધારે સાબરકાંઠા એલસીબીએ ગુપ્ત તપાસ કરી આ બંને જણાને ઝડપી લઈ તેમની પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લઈને શુક્રવારે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરતાં કેટલા સમયથી આ શખ્સો પાલિકા અને મામલતદાર કચેરીના સિક્કા અને સહીનો દુરુપયોગ કરતાં હતા, અને કયા કયા ડોક્યુમેન્ટમાં તેઓએ ઉપયોગ કર્યો છે તેમજ આ કામગીરીમાં અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ ?તે તમામ હકીકતો બહાર આવવાની સંભાવના છે.
આ અંંગે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ,એલસીબી પીઆઈ ડી.સી.સાકરીયા તથા પી એસ આઈ એસ. જે ચાવડાના જણાવ્યા મુજબ ગુરુવારે તેમને એવી માહિતી મળી હતી કે મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં આવેલ વિષ્ણુ સોસાયટીના મકાન નંબર રરમાં રહેતો કિશોર કનૈયાલાલ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં ચંદ્રકેતુ પ્રજાપતિને સાથે રાખી આ બંને જણા કેટલાક લોકોના આધારકાર્ડના દસ્તાવેજોના અભાવે અપડેટ ના થયા હોઈ તેમને હિંમતનગર નગરપાલિકા તથા મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી આપતા હતા.
જે આધારે એલસીબીના સ્ટાફે ટેકનીકલ અને હ્મુમન સોર્સથી મળેલી બાતમીના આધારે આ બંને જણાને ઝડપી લીધા હતા અને તપાસ કર્યા બાદ આ બંને જણા પાસેથી ઈલેકટ્રોનીક સંશાધનો તેમજ કેટલાક દસ્તાવેજો અને સિક્કા મળી અંદાજે રૂા.૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લેવાયા બાદ બંને વિરુધ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન ડીવાયએસપી એ.કે.પટેલે આ મામલે શુક્રવારે જણાવ્યું હતું કે એલસીબી દ્વારા કેટલીક જરૂરી માહિતી મેળવવા માટે રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પુછપરછમાં જે નવી વિગતો બહાર આવશે તેની તપાસ કરાશે.
હિંમતનગર શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા શુક્રવારે તેમના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શહેરમાં ઢોલ-ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલના પ્રતિક રૂપે બનાવાયેલ વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર થઈને પસાર થઈ હતી.
હિંમતનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શુક્રવારે સવારે સિંધી સમાજવાડી ખાતે ભગવાન ઝૂલેલાલનો અભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિંધી સમાજવાડીથી નિકળેલ આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.તેમાં મહાવીરનગર પંચદેવ મંદિરથી અહિંસા સર્કલ,નમસ્તે સર્કલથી આંબાવાડી,જિલ્લા પંચાયત રેલવે ફાટકથી ટાવર ચોક અને પાંચબત્તી વિસ્તારનો સમાવેશ થાય છે. શોભાયાત્રાનું સમાપન ભાટવાસમાં આવેલા ગુરુદ્વારા ખાતે થયું હતું.
રાજયના ગૃહ વિભાગ દ્વારા મની-લોન્ડરીંગ ડ્રાઈવની ઝુંબેશ શરૂ કરીને વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોને ભયમુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો અંગેની માહિતી રજુ કરી ફરીયાદ નોંધાવવા માટે જિલ્લા પોલીસવડાએ અપીલ કરી છે.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના જણાવાયા મુજબ ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં રાજયવ્યાપી મની-લોન્ડરિંગ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લઈને તેનો અમલ શરૂ કર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રહેતા જરૂરીયાતમંદોએ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ પરત કરી હોવા છતાં ખોટા હિસાબો અને તગડુ વ્યાજ વસુલવા માટે વ્યાજખોરોના માણસો અનેક લોકોને ધાક-ધમકી આપી પરિવારને જીવવું હરામ કરી દે છે ત્યારે ભોગ બનનાર પીડીતોએ ભય મુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી વિગતો સાથે ફરીયાદ નોંધાવવી જોઈએ.
કોઈપણ નાગરિકે વ્યાજખોરોના ડરથી ગભરાવવાની જરૂર નથી, કોઈ વ્યક્તિ તમારી પાસેથી ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરી બળજબરીથી લખાણ કરાવતા હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ જેથી જરૂર પડે જેતે વિસ્તારના પોલીસ તમને મદદરૂપ થશે. પોલીસ સમક્ષ રજુઆત કર્યા બાદ તરત જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે અને જરૂર પડે પીડીતને પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવશે જેના માટે ભોગ બનનારે પોલીસ તંત્રને સહયોગ આપવો જરૂરી છે. જિલ્લા પોલીસવડાએ મની- લોન્ડરિંગ ડ્રાઈવનો ઝડપથી અમલ થાય અને પીડીતોને ફરીયાદ નોંધાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના ૧૪ પોલીસ સ્ટેશન અંતર્ગત હિંમતનગર-એ, બી, ગ્રામ્ય, ગાંભોઈ, પ્રાંતિજ, તલોદ, ઈડર, જાદર, વડાલી, ખેડબ્રહ્મા, ખેરોજ, પોશીના, વિજયનગર અને ચિઠોડા પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર જાહેર કરાયા છે.
હિંમતનગર નગરપાલિકામાં પાંચ વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની ગત તા.૧૬ માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચુંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમ્યાન વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહયા હોય તેવું લાગે છે.
હિંમતનગર પાલિકાના વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ગણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહયું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજુઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજુઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે.
દરમ્યાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૭ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.
રાજય સરકાર દ્વારા થોડાક સમય અગાઉ હિંમતનગરમાંથી હુડા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ તાજેતરમાં ગમે તે કારણસર રાજય સરકાર દ્વારા હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં બાંધકામ કરવા માટે મંજુરી અપાઈ છે ત્યારે હવે પછી હુડામાં સમાવિષ્ટ ગામના લોકોને બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા માટે કલેકટર કચેરીમાં જવું પડશે જેના લીધે બાંધકામ કરવા માંગતા મિલ્કત ધારકોને રજાચીઠ્ઠી મેળવવા માટેની કામગીરી વિલંબીત બને તેવા સંજોગો ઉભા થયા છે.
આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડાક મહિના અગાઉ હિંમતનગરમાં સમાવિષ્ટ સુચિત નવ ગ્રામના રહીશોએ હુડા રદ કરવા માટે તબક્કાવાર આંદોલનો શરૂ કર્યા હતા ત્યારબાદ રાજય સરકારે તત્કાલિન સમયે હુડાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લીધા બાદ સુચિત નકશો પણ પાછો ખેંચી લીધો હતો જેના લીધે નવ ગામની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી હતી દરમ્યાન સરકારે પણ આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ પૂર્વે સીફત પૂર્વક નિર્ણય કરીને હુડામાં સમાવિષ્ટ મિલ્કતોમાં બાંધકામ કરવા માટે મંજુરી આપી દીધી છે. જે સંદર્ભે તાજેતરમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા તથા એન્જીનીયર એસોસીએશનના અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લઈને હુડામાં સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજુરી અંગે રજુઆત કરી હતી.
ત્યારબાદ સરકાર દ્વારા મંગળવારે સત્તાવાર પરિપત્ર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેકશન અધિકારી નિમેષ એમ.મંધરાની સહીથી બહાર પાડીને બાંધકામને મંજુરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે સરકારના આ પરિપત્રને કારણે અત્યાર સુધી નવ ગામની પ્રજા પોતાની મિલ્કત કે જમીન પર નવું બાંધકામ કરવું હોય તો સ્થાનિક પંચાયત પાસેથી રજાચીઠ્ઠી મેળવતી હતી પરંતુ હવે હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં નવું બાંધકામ કરવાનું થાય ત્યારે મિલ્કત ધારકે જિલ્લા કલેકટર કચેરીમાંથી રજાચીઠ્ઠી મેળવવી પડશે. ત્યારબાદ આગામી સમયમાં બાંધકામની મંજુરી અંગે કેવા પ્રત્યાઘાત પડે છે તે માટે હાલના તબક્કે રાહ જોવી હિતાવહ છે.
સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટરને એનડીપીએસના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો આઈબી, પોલીસ કર્મચારી અને હોમગાર્ડનીખોટી ઓળખ આપતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી ગુનામાં વપરાયેલી રૂ.૧૦ લાખની બે ફોર વ્હીલ કાર, રૂ.૩૦ હજારના પાંચ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા પોલીસે વધુ વિગત માટે કોર્ટમાં રજુ કર્યા હતા જયાં ન્યાયાધિશે તેમના તા.ર૦ માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલાઓમાં હિંમતનગરના ભરચક વિસ્તારમાં આવેલ એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બે જણાનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાને લઈને સાબરકાંઠા પોલીસની આબરૂનું વધુ એક વખત લીલામ થયું છે.
આ અંગેની વિગત એવી છે કે ગત તા.૧૧ માર્ચના રોજ માલવણ-વિરમગામ હાઇવે પર ટોલબૂથ નજીક બનેલી ઘટના મુજબ ધ્રાંગધ્રાના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર નં. જીજે.૧૩સીડી.પ૮૪પમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તબિબને અટકાવી ચાર પૈકી બે જણાએ ખાખી પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો જ્યારે એક પુરુષ અને એક મહિલા સાદા કપડામાં હતા. ત્યારબાદ વાહન ચેકિંગના બહાને ડોક્ટર શાહને ઉભા રખાવ્યા હતા અને તેમની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું કહી ડોક્ટરના ફોટા પાડી તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ તબિબે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે બજાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૮૨૬૦૦૭૬/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૨૦૪, ૧૨૬(૨), ૬૨, ૬૧(૨)(બી), ૫૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
જે સંદર્ભે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરલિપ્ત રાયની અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવાયો હતો.જેના ભાગરૂપે બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા અને મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ગુનામાં વપરાયેલી કાર ચલાવનાર નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ (રહે. હામપર, તા. ધ્રાંગધ્રા), અમદાવાદમાં ફોટોગ્રાફીનો ધંધો કરનાર સહિત પાંચ જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારબાદ તપાસને અંતે પોલીસે તમામને મંગળવારે ઝડપી લીધા હતા અને વધુ તપાસ માટે બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્થાનિક કોર્ટમાં રજુ કર્યા હતા જયાં ન્યાયાધિશે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તા.ર૦ માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.
ઇડર તાલુકાના બરવાવની સીમમાં રહેતા એક પરિવારનો ચાર વર્ષનો પુત્ર કુવા નજીક રમી રહયો હતો ત્યારે અચાનક આવેલ એક શ્વાનએ હુમલા કરતાં માસૂમ બાળક લોહીલુહાણ બની જતાં ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત આ બાળકને સારવાર માટે લઈ જવાયો હતો.
આ અંગેની વિગત એવી છે કે બરવાવ ગામના લાલજીભાઈ વિરસંગભાઈ ચૌધરીના કુવા ઉપર ઘઉં સીઝન દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાના સિતોડ ગામના ડાભી સુનિલભાઈ મજૂરી કામ માટે આવ્યા હતા દરમ્યાન બુધવારે સવારે ૯ વાગ્યાના સમયે સુનિલભાઈ ખેતરમાં ઘઉં વાઢવાની કામગીરીમાં વ્યસ્ત હતા. ત્યારે તેમનો ૪ વર્ષનો દીકરો મનોજ કુવા પાસે રમતો હતો આજ વખતે અચાનક ચઢી આવેલા ત્રણ રખડતા શ્વાનનું ટોળુ આવી ચઢયુ હતું અને રમતા બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનના ટોળાએ બાળકના માથા અને પગના ભાગે બચકા ભરતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાને કારણે આ બાળકની ચીસો સાંભળતા નજીકમાં કામ કરતા તેના પિતા સુનિલભાઈ તથા અન્ય મજૂરો તરત જ દોડી આવ્યા હતા અને હિંમતપૂર્વક બાળકને શ્વાન પાસેથી છોડાવ્યો હતો. જોકે લોકો આવી પહોંચતા ગભરાયેલું શ્વાનનું ટોળુ ભાગી ગયું હતું.
ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકને તરત જ ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકને શ્વાનના બચકા વધારે પ્રમાણમાં લાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાતા તબીબોએ વધુ સારવાર માટે તેને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાન તથા અબોલા પશુઓ ગમે ત્યારે હુમલો કરે છે ત્યારે લોકો અજાણતાથી ભોગ બને છે જેથી આમ પ્રજાએ આવા હુમલાખોર ચોપગા પ્રાણીઓથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નકલી ખાદ્યચીજો, વસ્તુઓ તથા નકલી અધિકારીઓના કરતુતોમાં ખુબજ વધારો થઈ રહયો છે ત્યારે થોડાક સમય અગાઉ નકલી દૂધનો વિવાદ ચરમસીમાએ પહોંચ્યો હતો ત્યારે સાબરકાંઠા જિલ્લા ફુડ વિભાગ દ્વારા મંગળવારે હિંમતનગર તાલુકના રાયગઢ ગામે ખાદ્યચીજોનું વેચાણ કરતાં એક વેપારીના ઘરમાંથી અંદાજે રૂ.પ૦ હજારની કિંમતનું નકલી ઘી તથા ભેળસેળ માટે વપરાતી ચીજવસ્તુઓ પકડીને પૃથ્થકરણ માટે નમુના લઈને પ્રયોગ શાળામાં મોકલાયા છે.
આ અંગે જિલ્લા ફુડ વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ રાયગઢ ગામે રહેતા અને ફુડ બિઝનેસ ઓપરેટર તરીકે વ્યવસાય કરતાં ખુબીરામ શિવચરણલાલ શર્મા પોતાના ઘરે નકલી ઘી બનાવવાનું કારખાનું ચલાવતા હતા જે અંગે ફુડ વિભાગને મળેલી માહિતી બાદ મંગળવારે ફુડ વિભાગની ટીમે રાયગઢ જઈ ખુબીરામ શર્માના ઘરની તપાસ હાથ ધરી હતી તપાસ દરમ્યાન ઘરમાંથી રૂ.૧પ,૬૦૦નું ૩૯ કિલો રીફાઈન્ડ સોયાબીનનો જથ્થો મળી આવ્યો હતો.
તપાસ દરમ્યાન અધિકારીઓએ રૂ.૧૦,૭૮૮ની કિંમતનું પ૮ કિલો લુઝ ઘી, રૂ.૧૬,૮૦૮ની કિંમતનું ૮૮ કિલો વનસ્પતિ ઘી તથા રૂ.૬,૯૦૦ની કિંમતનો ર૩ કિલો સફેદ પાઉડર મળી અંદાજે રૂ.પ૦,૦૯૬નો મળી ર૦૮ કિલો ગ્રામ જથ્થો મળી આવતાં આ તમામ જથ્થાને સીઝ કરી દેવામાં આવ્યો હતો ત્યારબાદ તેના નમુના લેવામાં આવ્યા હતા. પૃથ્થકરણના અહેવાલ બાદ ભેળસેળ કરનાર ખુબીરામ શર્મા વિરૂધ્ધ જરૂર પડે તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાંથી દિવાળી અને અન્ય તહેવારો દરમ્યાન ફુડ વિભાગ દ્વારા દરોડા પાડીને શંકાસ્પદ જથ્થો પકડવામાં આવે છે ત્યારબાદ પ્રયોગ શાળામાં મોકલાયા પછી લાંબા સમય સુધી તેનો અહેવાલ આવતો નથી ત્યારે કેટલાક વેપારીઓ આવો શંકાસ્પદ જથ્થો વેચીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરે છે ત્યારે સરકાર દ્વારા કાયદામાં સુધારો કરીને ગુનેગારો વિરૂધ્ધ તરત જ સખ્ત કાર્યવાહી કરવાની જરૂર છે તેવું પ્રજા ઈચ્છી રહી છે.
એક બાજુ, કાયદામાં રહેશોમાં તો ફાયદામાં રહેશો તેવી વાતો કરાય છે તો બીજી તરફ, ડ્રગ્સ પેડલરો-ડ્રગ્સ માફિયાઓને જાણે ખાખીનો ડર રહ્યો નથી. બેરોકટોક દારૂ, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યુ છે. ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હોમટાઉન સુરતમાંથી જ ૩૧૪૬ કિલો ડ્રગ્સ, અફીણ સહિત અન્ય નશીલી સિરપનો જથ્થો પકડાયો હતો. આ પરથી એ વાત પ્રસ્થાપિત થઈકે, ગુજરાતમાં ડ્રગ્સનો કારોબાર ફુલ્યોફાલ્યો છે.
ગાંધીના ગુજરાતમાં નશાબંધી માત્ર | નામપુરતી જ રહી છે. આજે નશામુક્ત ગુજરાત નહીં પરંતુ નશાયુક્ત ગુજરાત બની રહ્યું છે. વિપક્ષના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ સવાલ પૂછ્યોકે, છેલ્લાં સુરત જિલ્લામાંથી કેટલું અફીણ અને અન્ય ડ્રગ્સ પકડાયું ? આ સવાલના જવાબમાં ગૃહ વિભાગે એકરાર કર્યોકે, ૩૧૪૬ કિલો ડ્રગ્સ અને ૧૬ કિલો અફીણનો જથ્થો | પકડાયો હતો. આ ઉપરાંત ૨૬૨૦ નંગ સીરપની બોટલ પણ પકડાઈ હતી.
વિપક્ષે એવો મુદ્દો ઉપસ્થિત કર્યો છેકે, ગૃહ મંત્રીના હોમ ટાઉન સુરતમાંથી અફીણ અને ડ્રગ્સનો આટલો મોટો જથ્થો પકડાય તે નાની-સુની વાત નથી. પોલીસ ડ્રગ્સ પેડલરને પકડીને વાહવાહી લૂંટે છે પણ પરંતુ આ જથ્થો ક્યાંથી આવ્યો ? ડ્રગ્સ | મોકલનાર ડ્રગ્સ માફિયાઓ કેમ પકડાતાં નથી તે મુદ્દે ગૃહવિભાગ પાસે કોઇ જવાબ નથી. આજે ગાંધીનાના ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ વકરતાં યુવાધન નશાના બંધાણી બન્યાં છે ત્યારે કડક પગલાં ભરી ખરા અર્થમાં ગુજરાતને ડ્રગ્સમુક્ત બનાવે તેવી માંગ કરવામાં આવી છે.