Breaking News
અમદાવાદમાં ગુંડાગીરી નું રાજ. શું પોલીસ કમજોર?
1 0
Read Time:2 Minute, 17 Second

એસીપી ઈ-ડિવિઝન વાણી દૂધાતના જણાવ્યા અનુસાર, કુખ્યાત મોન્ટુ નામદાર 8 જૂનના રોજ જેલમાંથી ફર્લો રજા પર બહાર આવ્યો હતો. જેલમુક્ત થતાં જ 9 જૂનના રોજ તેણે પોતાના સાગરીતો (જીજ્ઞેશ રામી, ફિરોજ અને પુત્ર પ્રિન્સ) સાથે મળીને ખાડિયાની હજીરાની પોળમાં આતંક મચાવ્યો હતો. નશાની હાલતમાં ચૂર આ ગુંડાતત્વોએ જાહેરમાં ફટાકડા ફોડી રસ્તો જામ કરી દીધો હતો અને હત્યા કેસની એક સાક્ષી મહિલાને આખા પરિવાર સહિત ખતમ કરી નાખવાની ગંભીર ધમકી આપી હતી.

મહિલાએ ડરીને તાત્કાલિક 112 કંટ્રોલ રૂમમાં ફોન કરતાં પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને જોઈને મોન્ટુ નામદાર ભાગવા ગયો હતો, જ્યાં મકાન પરથી કૂદવાના પ્રયાસમાં તેના બંને પગે ફ્રેક્ચર થયું હતું અને તે ઈજાગ્રસ્ત થયો હતો. પોલીસે તેની ધરપકડ કરી જ્યારે સરકારી પીસીઆર (PCR) વાનમાં બેસાડ્યો, ત્યારે મોન્ટુની હિંમત એટલી હદે વધી ગઈ હતી કે તેણે પોલીસકર્મીઓને જ જાહેરમાં ગાળો ભાંડી હતી. તેણે 2022માં તેને પકડનાર હેડ કોન્સ્ટેબલ ધર્મેશ ભરવાડને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે.

12 જૂનના રોજ ખાડિયા પોલીસે મોન્ટુ નામદાર અને તેના સાથીઓ વિરુદ્ધ ધમકી, બીભત્સ વર્તન અને નશાખોરી બદલ ત્રીજી નવી એફઆઈઆર (FIR) નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ હવે કોર્ટમાં રિપોર્ટ કરીને મોન્ટુના ફર્લો જામીન રદ કરાવશે, જેથી તેને ફરીથી જેલના સળિયા પાછળ ધકેલી શકાય. આ હાઈ-વોલ્ટેજ ડ્રામા અને દાદાગીરીની ઘટના આપણા ગુજરાતના અમદાવાદ શહેરમાં બની છે.

Happy
Happy
0 %
Sad
Sad
100 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રૂ.૨૦.૪૬ લાખ ચૂકવ્યા છતાં ‘બાકી’ના નામે ત્રાસ. ખેડબ્રહ્માના મટોડામાં વ્યાજખોર સામે પોલીસ ફરિયાદ.
0 0
Read Time:1 Minute, 57 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

દિકરાની સારવાર અને ધંધા માટે લીધેલા નાણાં વ્યાજ સહિત પરત કર્યા બાદ પણ રૂ. ૩.૭૫ લાખની માંગણી, જાનથી મારી નાખવાની ધમકીનો આક્ષેપ

હિંમતનગર: ખેડબ્રહ્મા તાલુકાના મટોડા ગામમાં વ્યાજખોરી અને ધાકધમકીનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ગામના એક રહીશે બિયારણના ધંધા તેમજ પોતાના દિકરાની સારવાર માટે વર્ષો અગાઉ લીધેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હોવા છતાં વધુ નાણાંની માંગણી કરીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું સામે આવ્યું છે.

પોલીસ ફરિયાદ મુજબ મટોડા ગામના વિજય ફલજીભાઈ પટેલે વર્ષ ૨૦૧૨ માં ગામમાં રહેતા તળશીભાઈ હીરાભાઈ પટેલ પાસેથી પાંચ ટકા વ્યાજે તબક્કાવાર અંદાજે રૂ. ૧૨.૫૦ લાખ લીધા હતા. આ રકમમાંથી રૂ. ૭.૯૬ લાખ વ્યાજ અને રૂ.૧૨.૫૦ લાખ મુદલ સહિત કુલ રૂ.૨૦.૪૬ લાખ પરત ચૂકવી દેવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ સમગ્ર રકમ ચૂકવ્યા બાદ પણ તળશીભાઈ પટેલે રૂ. ૩.૭૫ લાખ હજુ બાકી હોવાનું કહી ઉઘરાણી શરૂ કરી હતી. આરોપ છે કે બાકી રકમ નહીં ચૂકવવામાં આવે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.

આખરે સતત માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને વિજય પટેલે રવિવારે ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં તળશીભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાત-રાજસ્થાનમાં મોટરસાયકલ ચોરીનો આતંક મચાવતી આંતર રાજ્ય ગેંગ ઝડપાઈ
0 0
Read Time:2 Minute, 21 Second

13 ચોરાયેલી બાઇકો અને મોબાઇલ સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ એ મોટરસાયકલ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કરી મુખ્ય સૂત્રધાર સહિત ચાર આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ 13 ચોરાયેલી મોટરસાયકલો અને એક મોબાઇલ ફોન સહિત રૂ. 3.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.પોલીસને મળેલી બાતમીના આધારે ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારના લાંબડિયા રોડ ઉપર વોચ ગોઠવવામાં આવી હતી. દરમિયાન બે શંકાસ્પદ મોટરસાયકલ પર આવી રહેલા પાંચ ઇસમોને રોકી પૂછપરછ કરતા તેમની પાસે વાહનોના માલિકીના કોઈ પુરાવા મળી આવ્યા નહોતા. ત્યારબાદ પોલીસે મોટરસાયકલો કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.તપાસ દરમિયાન ઝડપાયેલા આરોપીઓએ ગુજરાત અને રાજસ્થાનના વિવિધ વિસ્તારોમાંથી મોટરસાયકલોની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. પોલીસે ઇડર, સતલાસણા અને છાપી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વાહનચોરીના ગુનાઓ ડિટેક્ટ કર્યા છે તેમજ અન્ય અનેક બિનનોંધાયેલા ગુનાઓનો પણ ભેદ ઉકેલ્યો છે.પકડાયેલા આરોપીઓમાં રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના કોટડા વિસ્તારના રણમલ ઉર્ફે રેણા, પ્રકાશ ઉર્ફે પેરીયા, કિશન ઉર્ફે કૃષ્ણા, અનિલ ગમાર તથા એક બાળ કિશોરનો સમાવેશ થાય છે.આ સમગ્ર કાર્યવાહી સાબરકાંઠા જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી. સાકરિયા અને પીએસઆઇ રવિરાજસિંહ.જે. જાડેજાની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ખેડૂતના મકાનમાંથી રૂ. ૮.૦૪ લાખના દાગીના અને રોકડની ચોરી
0 0
Read Time:3 Minute, 11 Second

ખેડૂતના મકાનમાંથી રૂ. ૮.૦૪ લાખના દાગીના અને રોકડની ચોરી
રસોડાની જાળીના સળિયા તોડી ઘરમાં ઘૂસ્યા,લોખંડની તિજોરીને નિશાન બનાવી
સોનાના દોરા ,લોકેટ,વીંટીઓ, ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ તફડાવ્યો
હિંમતનગર(જીગ્નેશ સોની): હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ મથક હદના માથાસુલિયા ગામે તસ્કરોએ એક ખેડૂતના મકાનને નિશાન બનાવી રૂ.૮.૦૪ લાખના મુદ્દામાલની ચોરી કરતાં ગ્રામ્ય વિસ્તારમાં ચકચાર મચી છે. આ અંગે માથાસુલિયા ગામના રહેવાસી અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા ૬૩ વર્ષીય જગતસિંહ ભાથીસિંહ પરમારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ અનુસાર તા.૫ જૂનની રાત્રે ૧૧ વાગ્યાથી ૬ જૂનની વહેલી સવારે કોઈ અજાણ્યા તસ્કરોએ તેમના જૂના મકાનના પાછળના ભાગે આવેલા રસોડામાં લગાવેલી લોખંડની જાળીના સળિયા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.ત્યારબાદ ઘરમાં રહેલી લોખંડની તિજોરી તોડી તેમાં રાખેલા કિંમતી દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.ચોરી થયેલા મુદ્દામાલમાં આશરે ૫૦૦ ગ્રામ વજનની ચાંદીની ઝાઝર કિંમત રૂ.૫૦ હજાર,૨૦૦ ગ્રામ વજનના ચાંદીના છડા કિંમત રૂ.૨૦ હજાર, એક તોલાનું સોનાનું લોકેટ કિંમત રૂ.૧.૧૦ લાખ, બે તોલા વજનના બે સોનાના દોરા કિંમત રૂ. ૨.૨૦ લાખ, આશરે ૬ ગ્રામ વજનની બે સોનાની વીંટીઓ કિંમત રૂ.૬૦ હજારનો સમાવેશ થાય છે.આ ઉપરાંત તેમના નાના પુત્રના લગ્ન પ્રસંગે પુત્રવધૂ ભારતીબાને કરિયાવરમાં મળેલા દાગીનાઓ પણ તસ્કરો ઉઠાવી ગયા હતા. જેમાં ૫૦૦ ગ્રામ ચાંદીના કડલા કિંમત રૂ.૫૦ હજાર,૨૦૦ ગ્રામ ચાંદીના છડા કિંમત રૂ.૨૦ હજાર, એક તોલાનું સોનાનું લોકેટ કિંમત રૂ. ૧.૧૦ લાખ,૬ ગ્રામની બે સોનાની વીંટીઓ કિંમત રૂ.૬૦ હજાર,૮ ગ્રામ વજનની ચાર સોનાની બુટ્ટીઓ કિંમત રૂ. ૮૦ હજાર તેમજ રૂ. ૨૪ હજારની રોકડ રકમનો સમાવેશ થાય છે.
આ રીતે કુલ રૂ. ૮,૦૪,૦૦૦ના મુદ્દામાલની ચોરી થતાં પરિવારજનોમાં ચિંતા અને ગામમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. ઘટનાની જાણ થતાં ગાંભોઈ પોલીસ તથા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળ તપાસ હાથ ધરી હતી. પોલીસે તસ્કરોને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
અમદાવાદ: ઓઢવ પોલીસે ગેરકાયદે ગેસ રિફીલિંગના રેકેટનો પર્દાફાશ કર્યો, ૨.૬૧ લાખનો મુદ્દામાલ કબજે
1 0
Read Time:3 Minute, 38 Second

અમદાવાદ(વિશ્વાસ પંડ્યા): શહેરના ઓઢવ વિસ્તારમાં રહેણાંક સોસાયટીની નજીક જીવના જોખમે ચાલતા ગેરકાયદે ગેસ રિફીલિંગના વ્યવસાય પર પોલીસે તરાપ મારી છે. ઓઢવ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે બાતમીના આધારે દરોડો પાડીને મોટા કોમર્શિયલ ગેસના બાટલામાંથી નાના બાટલામાં ગેસ ભરતા એક શખ્સની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ ૨,૬૧,૭૦૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી ઓઢવ પોલીસ ઇન્સ્પેક્ટર પી.એન. ઝીંઝુવાડિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એ.હે.કો. વિવેકકુમાર ભીખુભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે, ‘ઓઢવ દર્શન ધામ સોસાયટી’ના ગેટ પાસે આવેલ ‘વનિતા મેટલ’ નામની દુકાનમાં ગેરકાયદેસર રીતે ગેસ રિફીલિંગનું કામ ચાલી રહ્યું છે. આ બાતમીના આધારે પંચોને સાથે રાખીને પોલીસે દુકાન પર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન દુકાનદાર ઉદયસિંહ ઉર્ફે દિનેશ ચતરસિંહ રાજપૂત (ઉં.વ. ૩૯, રહે. વસ્ત્રાલ, મૂળ રહે. રાજસ્થાન) ગેસના મોટા બાટલામાંથી વાલ્વવાળી પાઈપ લગાવી નાના બાટલામાં ગેસ ભરતા રંગેહાથ ઝડપાઈ ગયો હતો. ઘટનાસ્થળે બે ગ્રાહકો પણ હાજર હતા જેઓ ૫ કિલોના નાના બાટલામાં ગેસ ભરાવી રહ્યા હતા. પોલીસે દુકાનની પાછળ આવેલા ગોડાઉનમાં તપાસ કરતા અલગ-અલગ કંપનીના નાના-મોટા ભરેલા તેમજ ખાલી ગેસના કુલ ૭૯ નંગ બાટલા મળી આવ્યા હતા. આ ઉપરાંત ગેસ રિફીલિંગ માટે વપરાતી પાઈપ અને ઇલેક્ટ્રિક વજન કાંટો પણ કબજે કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત નીચે મુજબ છે: ૭૯ નંગ ગેસના બાટલા (કિંમત રૂ. ૨,૫૭,૯૦૦/-) વાલ્વ સાથેની પાઈપ (કિંમત રૂ. ૮૦૦/-) ઇલેક્ટ્રિક વજન કાંટો (કિંમત રૂ. ૩,૦૦૦/-) કુલ મુદ્દામાલ: ૨,૬૧,૭૦૦/- લોકોના જીવ જોખમમાં મૂકતા કૌભાંડનો અંત આરોપી ઉદયસિંહ કોઈપણ સુરક્ષાના સાધનો કે લાયસન્સ વગર જ્વલનશીલ ગેસનું રિફીલિંગ કરતો હતો. આ પ્રકારની બેદરકારી ગંભીર અકસ્માત કે બ્લાસ્ટ નોતરી શકે તેમ હતી, જેનાથી આસપાસના રહીશોના જીવ જોખમમાં મુકાઈ શકતા હતા. ઓઢવ પોલીસે આરોપી વિરુદ્ધ ‘ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩’ ની કલમ ૨૮૭ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સફળ કામગીરીમાં પીએસઆઈ ડી.આઈ. પટેલ અને તેમની ટીમમાં સામેલ વિવેકકુમાર, હિતેશભાઈ, અનુભવસિંહ અને જીગરકુમાર દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. પોલીસની આ તવાઈથી ગેરકાયદે ગેસના વેપલામાં જોડાયેલા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
અમદાવાદમાં ‘સબ સલામત’ ના દાવા પોકળ: અસામાજિક તત્વોનો બેફામ આતંક, વાહનોમાં તોડફોડ અને હિંસક બનાવોથી જનતામાં ફફડાટ
1 0
Read Time:3 Minute, 37 Second

વટવામાં સગીરને ‘તાલીબાની’ સજા અને નિકોલમાં હથિયારથી હુમલો
અમદાવાદ: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા ગુનાખોરી નિયંત્રણમાં હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ ‘સબ સલામત’ ની ફૂંકાઈ રહેલી આ ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક, વાહનોમાં તોડફોડ અને મારામારીના બનાવોએ પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેર કોટડા, વટવા, નિકોલ અને સૈજપુર જેવા વિસ્તારોમાં લુખ્ખા તત્વોના ત્રાસથી સામાન્ય જનતામાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શહેર કોટડા વિસ્તારમાં આવેલી રચના સ્કૂલ પાસે રાત્રિના સમયે ૨૦થી વધુ વ્યક્તિઓના ટોળાએ અચાનક હુમલો કરી પાર્ક કરેલા ૬થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે ૬ શખ્સોની ધરપકડ કરી છે, પરંતુ લોકોની ચિંતા યથાવત છે. આવી જ રીતે સૈજપુરની ગિરીવૃન્દ સોસાયટીમાં અસામાજિક તત્વોએ બેઝબોલના ડંડા વડે વાહનોના કાચ તોડી આતંક મચાવ્યો હતો. રાણીપ વિસ્તારમાં ડી-માર્ટ પાસે પણ રિક્ષામાં તોડફોડ કરી બે લોકોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. બહેરામપુરામાં તો જાહેર રોડ પર અપશબ્દો બોલી હંગામો મચાવતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
શહેરના નિકોલ વિસ્તારમાં જૂની અદાવત રાખીને એક યુવકને સમાધાનના બહાને બોલાવી તેના પર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, સૌથી ચોંકાવનારો કિસ્સો વટવા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સગીરને તેના જ મિત્રોએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ‘તાલીબાની’ સજાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં સગીર પોતાની જાતને બચાવવા આજીજી કરતો અને બૂમો પાડતો જોવા મળે છે, જે માનવતાને શરમાવે તેવી ઘટના છે.
શહેરમાં વધી રહેલા આવા બનાવોને કારણે નાગરિકો હવે રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ હોય તેમ દેખાઈ રહ્યું છે. અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે, શું પોલીસ તંત્ર આ લુખ્ખા તત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડ્યું છે? જનતાની સુરક્ષા માટે માત્ર દાવા નહીં પણ કડક કાર્યવાહીની જરૂર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
કોમી એકતાની મિસાલ: અમદાવાદના વકીલે ઈદના પર્વે ‘૭૮૬’ નંબરની ૪.૩૦ લાખની ચલણી નોટોનું કર્યું પૂજન
1 0
Read Time:2 Minute, 53 Second

અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે ઈદના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે અમદાવાદમાં કોમી એકતા અને શ્રદ્ધાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા જાણીતા વકીલ પ્રકાશચંદ્ર કે. સોનીએ ઈદના પવિત્ર દિવસે પોતાની પાસે રહેલી ‘૭૮૬’ નંબરની લાખોની કિંમતની ચલણી નોટોનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.

નવાવાડજની વિવિધભારતી સોસાયટીમાં રહેતા પ્રકાશચંદ્ર સોનીએ મુસ્લિમ સમાજમાં અત્યંત પવિત્ર અને સૌભાગ્યશાળી મનાતા ‘૭૮૬’ ના અંક પ્રત્યેની પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ ખાસ નંબર ધરાવતી નોટોનો સંગ્રહ કરી રહ્યા હતા. આ વર્ષે ઈદના અવસરે તેમણે આ ૧૫ વર્ષની મહેનત અને સંગ્રહને પૂજનના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યો હતો.

વકીલ પ્રકાશચંદ્ર પાસે ૭૮૬ નંબર ધરાવતી કુલ ૪,૬૨૬ ચલણી નોટોનો દુર્લભ સંગ્રહ છે. જેમાં ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાના દરની તમામ નોટોનો સમાવેશ થાય છે. આ તમામ નોટોની કુલ અંદાજિત કિંમત ૪,૩૦,૦૦૦ (ચાર લાખ ત્રીસ હજાર) રૂપિયા જેટલી થાય છે. ઈદના દિવસે આ તમામ નોટોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વકીલ સોનીએ જણાવ્યું હતું કે, “૭૮૬ અંક મુસ્લિમ ભાઈઓ માટે બરકત અને પવિત્રતાનું પ્રતીક છે. એક હિન્દુ તરીકે આ પવિત્ર અંક પ્રત્યે માન જાળવીને પૂજન કરવું એ મારા માટે ગર્વની વાત છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને સર્વધર્મ સમભાવની ભાવના મજબૂત કરવાનો છે.”

સામાન્ય રીતે લોકો ધનતેરસ કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતા હોય છે, પરંતુ ઈદના દિવસે વકીલ દ્વારા કરવામાં આવેલા આ અનોખા ‘લક્ષ્મી પૂજન’ અને ૭૮૬ નંબર પ્રત્યેના તેમના આકર્ષણે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. સ્થાનિક લોકો અને સોસાયટીના રહીશોએ વકીલના આ પ્રશંસનીય કાર્ય અને સકારાત્મક અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
બી.સી.એ.ના ઉભરતા ક્રિકેટરો માટે યોગ શિબિરનું આયોજન: રાજેશ બારોટ દ્વારા ‘માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ’ની તાલીમ અપાઈ
0 0
Read Time:3 Minute, 13 Second

વડોદરા: તાજેતરમાં વડોદરા ક્રિકેટ એસોસિએશન (બી.સી.એ.) દ્વારા કોટંબી સ્થિત નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યુવા ખેલાડીઓ માટે એક વિશેષ યોગ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં બી.સી.એ.ના અન્ડર-16 અને અન્ડર-18 સહિત વિવિધ વય જૂથના ઉભરતા ક્રિકેટરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શિબિરનું મુખ્ય આકર્ષણ જાણીતા યોગ કોચ શ્રી રાજેશ બારોટ દ્વારા આપવામાં આવેલી ‘માઇન્ડ એન્ડ બોડી ફિટનેસ’ની તાલીમ રહી હતી.

આધુનિક ક્રિકેટમાં શારીરિક ક્ષમતાની સાથે માનસિક મજબૂતી પણ અત્યંત અનિવાર્ય બની ગઈ છે. આ બાબતને ધ્યાનમાં રાખીને યોગ કોચ રાજેશ બારોટે ખેલાડીઓને વિવિધ આસનો અને પ્રાણાયામનો અભ્યાસ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વિવિધ યોગાસનો દ્વારા શરીરની ફ્લેક્સિબિલિટી (લવચીકતા) અને મોબિલિટીમાં નોંધપાત્ર વધારો થાય છે, જે મેદાન પર ખેલાડીઓને ચપળતા પ્રદાન કરે છે. વધુમાં, સ્નાયુઓની મજબૂતાઈ વધવાથી ઈજાઓ થવાનું જોખમ પણ ઘટે છે.”

માત્ર શારીરિક જ નહીં, પરંતુ માનસિક પાસા પર ભાર મૂકતા તેમણે ઉમેર્યું કે, ધ્યાન અને પ્રાણાયામ દ્વારા ખેલાડીઓની એકાગ્રતામાં વધારો થાય છે. મેદાન પર દબાણની સ્થિતિમાં માનસિક સંતુલન જાળવી રાખવું ખૂબ જરૂરી હોય છે. જે ખેલાડી માનસિક રીતે સ્થિર હોય છે, તે બેટિંગ, બોલિંગ, વિકેટકીપિંગ અને ફિલ્ડિંગ જેવા તમામ વિભાગોમાં પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે, યોગ કોચ રાજેશ બારોટ પાસે આ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. તેમણે ભૂતકાળમાં હાર્દિક પંડ્યા, ચેતેશ્વર પૂજારા, ઈરફાન પઠાણ, યુસુફ પઠાણ, અર્જુન તેંડુલકર અને દીપક હુડા જેવા દિગ્ગજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોને પણ માઇન્ડ એન્ડ બોડી ફિટનેસની તાલીમ આપી છે. તેમના આ અનુભવનો લાભ હવે વડોદરાના સ્થાનિક અને ઉભરતા ખેલાડીઓને મળી રહ્યો છે, જે ભવિષ્યમાં તેમના વ્યવસાયિક કરિયર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

કોટંબી સ્ટેડિયમ ખાતે આયોજિત આ તાલીમ શિબિરથી યુવા ખેલાડીઓમાં નવો ઉત્સાહ જોવા મળ્યો હતો. બી.સી.એ. દ્વારા ખેલાડીઓના સર્વાંગી વિકાસ માટે લેવાયેલું આ પગલું પ્રશંસનીય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
વણસર ગામ ખાતે ક્ષય (ટીબી) નિદાન કેમ્પ યોજાયો.
0 0
Read Time:3 Minute, 2 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

“આરોગ્ય એ જ સાચી સંપત્તિ છે,” આ સુવિચારને સાર્થક કરવા માટે સરકાર દ્વારા અનેકવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. ભારતના સ્વપ્ન સમાન ‘ટી.બી. મુક્ત ભારત’ અભિયાનને ગ્રામ્ય સ્તરે સફળ બનાવવા માટે જનજાગૃતિ અને સક્રિય તપાસ અત્યંત આવશ્યક છે. આ જ શ્રેણીમાં, આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સંધાણા ના આયુષ્માન આરોગ્ય મંદિર રાધાવણજ ના વણસર ગામ ખાતે ના ઉપક્રમે એક અત્યંત મહત્વપૂર્ણ એક્સ-રે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગ્રામીણ આરોગ્ય સેવાઓની સફળતાની એક ગાથા બની રહ્યો.

આજના આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ક્ષય (ટી.બી.) જેવા ગંભીર રોગનું વહેલું નિદાન કરી તેને જડમૂળથી નાબૂદ કરવાનો હતો. વણસર ગામ માં આયોજિત આ કેમ્પમાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક સહભાગી બની પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી. આ કાર્યક્રમની સફળતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, માત્ર અડધા જ દિવસમાં કુલ ૧૯૨ ગ્રામજનોના એક્સ-રે કરવામાં આવ્યા હતા, જે દર્શાવે છે કે ગ્રામજનો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે કેટલા જાગૃત બન્યા છે.

આ કેમ્પને ગરિમાપૂર્ણ બનાવવા માટે સી.ડી.એચ.ઓ. ડી.ટી.ઓ. ની અધ્યક્ષતામાં કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડૉ. રિતેશ બેન્કર,આયુષ મેડીકલ ઓફિસર ડૉ એમ.એમ.જાની તાલુકા એસ.ટી.એસ. (STS) ઘનશ્યામભાઈ એમ.પી.એચ.એસ સંજયભાઈ ડોડીયા, સી.એચ.ઓ. યશસ્વીબેન ઝાલા ના સક્ષમ અને સતત માર્ગદર્શન હેઠળ આ આખું આયોજન સુચારુ રીતે પાર પડ્યું હતું. તેમના પ્રોત્સાહન અને પ્લાનિંગને કારણે જ આરોગ્યકર્મીઓ અને ગ્રામજનો વચ્ચે એક સેતુ બંધાયો હતો.

આ કાર્યક્રમમાં ‘આશા’ બહેનો અને મ.પ.હે.વ વિનોદભાઈ ની ભૂમિકા અત્યંત મહત્વની રહી હતી. તેમણે ઘર-ઘર સુધી પહોંચીને લોકોને કેમ્પ માટે પ્રોત્સાહિત કર્યા અને કેમ્પ દરમિયાન તમામ વ્યવસ્થાઓ ખૂબ જ ચીવટપૂર્વક સંભાળી હતી. આશા બહેનોનો ઉત્સાહ અને પેરામેડિકલ સ્ટાફની મહેનતને પરિણામે ૧૯૨ લોકોની તપાસ શક્ય બની, જે આ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ગુજરાત અને રાજસ્થાનમાંથી ચેઇન સ્નેચીંગ ગેંગનો સુત્રધાર પકડાયો. એલસીબીએ રૂ.૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ ૬ ગુનાનો ભેદ ઉકેલ્યો.
0 0
Read Time:3 Minute, 49 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર સહિત રાજયના અન્ય ઠેકાણે તથા રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી આવતી જતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લુંટ કર્યાની ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ બે દિવસ અગાઉ સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે શામળાજીથી હિંમતનગર આવી રહેલ એક બાઇક સવારને અટકાવી પુછપરછ કર્યા બાદ તેની ઝડતી લેતા તેની પાસેથી સોનાના તુટેલા દોરા મળી આવ્યા હતા. જે અંગે પુછતા પકડાયેલા શખ્સે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે રૂપિયા ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ પુછપરછ કરતાં તે ગુજરાત અને રાજસ્થાનમાં ચેઇન સ્નેચીંગ કરતી આંતરરાજય ગેંગનો સુત્રધાર હોવાનું બહાર આવ્યા બાદ એલસીબીએ તેની વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો. 

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઇ ડી.સી. સાકરીયા ના જણાવ્યા મુજબ ગત તા. ૮ મેના રોજ પીએસઆઇ આર.કે. જોષીની ટીમ તેમની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે હિંમતનગરના ખેડ તસીયા રોડ પર એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરનાર શખ્સ શામળાજીથી હિંમતનગર તરફ અન્ય એક શખ્સની સાથે બાઇક પર આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ તેને અટકાવી તેની ઝડતી લીધી હતી. દરમિયાન તેના ખિસ્સામાંથી લગભગ ચાર તુટેલા સોનાની ચેઇનો મળી આવી હતી. 

જેથી પોલીસે તેની કડક પુછપરછ કરતાં પકડાયેલા દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા તેની પાછળ બેઠેલ સંજય રામદાસ સાધુ હોવાનું કબુલ્યું હતુ. વધુમાં આ બન્ને જણાએ જણાવ્યુ હતુ કે ગત તા. ૫ મેના રોજ ખેડ તસીયા રોડ પરથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ અન્ય સોનાની ચેઇનો રાજસ્થાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તથા વધુમાં બન્ને જણાએ જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં સોનાના દોરાની લુંટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. 

પકડાયેલા બન્ને વિરૂધ્ધ હિંમતનગર એ ડિવીઝન, રાજસ્થાનના ઝોથરી તાલુકાના નવાગળા ગામે રહેતા ગોપાલ કાન્તિલાલ ડામોર, ગૌરીશંકર ડાહ્યાલાલ ખરાડી તથા રાજસ્થાનના કુવાન, બિંછીવાડા, ઘાટોલા, પીંપલખુંટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં સોનાના દોરાની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા ૬.૭૦ લાખના સોનાના દોરા, ૨૫ હજારના બાઇક નં.આર.જે.૧૨.એસ.એસ.૯૧૦૪ તથા રૂપિયા ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ સાબરકાંઠા એલસીબીને ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના બન્ને સુત્રોધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %