ગાંભોઈથી બામણા રોડ પરથી રૂા.પ.ર૦ લાખનો દારૂ અને બિયરનો જથ્થો પકડાયો. ટેમ્પાનો ચાલક ટેમ્પો મૂકીને ભાગી ગયો, પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લીધો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાંથી સ્થાનિક પોલીસે બાતમીને આધારે મંગળવારે બામણા જતાં રોડ પરથી એક ટેમ્પામાં ભરી ગેરકાયદે હેરાફેરી કરાઈ રહેલ અંદાજે રૂા. પ.ર૦ લાખની કિંમતની ૧૪૭૬ દારૂ અને બિયરની બોટલો કબજે લઈ ભાગી ગયેલ ટેમ્પોના ચાલક વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે ગાંભોઈના પી.આઈ એસ.જે.ગોસ્વામી તથા સ્ટાફના પો.કો સુરેશભાઈ ના જણાવાયા મુજબ મંગળવારે તેમને એવી બાતમી મળી હતી કે ભિલોડા તરફથી એક ટેમ્પામાં પાસ પરમીટ વિનાનો દારૂનો જથ્થો ગાંભોઈ તરફ લવાઈ રહ્યો છે જે આધારે ગાંભોઈ પોલીસે આડા હાથરોલની સીમમાં વોચ ગોઠવી હતી. દરમ્યાન બાતમી મુજબ આવી રહેલ ટેમ્પો નં. જીજેર૭ટીડી પ૦પ૯ને અટકાવવા માટે પોલીસે ઈશારો કર્યો હતો. પરંતુ ટેમ્પોના ચાલક બામણા ત્રણ રસ્તાથી કોલેજ જતાં રોડની બાજુમાં ટેમ્પો મૂકીને ચાલક ભાગી ગયો હતો.
ત્યારબાદ ગાંભોઈ પોલીસે ટેમ્પાની બોડીમાં બનાવેલ ગુપ્ત ખાનામાંથી ૧૪૭૬ બિયર અને દારૂની બોટલો બંધ બોક્સમાંથી ઝડપી લીધી હતી. ત્યારબાદ પોલીસે રૂા. ૧૦.ર૦ લાખનો મુદ્દામાલ કબજે લઈને ગાંભોઈ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ધાણધા પાસે આધેડનો મળેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો. ધાણધામાં આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાએ માથામાં ફટકા માર્યા.
રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર
ઘર કંકાસને લઈને બોથડ પદાર્થથી ઘા ઝીંકી પિતાને પતાવી દીધા
બીએસઅસીમાં અભ્યાસ કરતાં પૂત્રને પિતા કનડગત કરતાં હોવાનો આક્ષેપ એફએસએલ અને પોસ્ટમર્ટમના રીપોર્ટ બાદ બી.ડીવીઝન પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો, બંનેની ધરપકડ કરી
ઘટનાના દિવસે પોલીસે શકમંદોને ઝડપી લીધા હતા. હિંમતનગર-ઈડર રોડ પર આવેલ તથા બી.ડીવીઝન પોલીસ સ્ટેશનની હદના ધાણધા વિસ્તારમાં આવેલ એક દાળમીલ પાછળથી છ દિવસ અગાઉ ઝાડી-ઝાંખરામાંથી એક પપ વર્ષની આધેડની લાશ મળી આવ્યા બાદ જિલ્લા પોલીસવડા, એલસીબી, એસઓજી સહિત સ્થાનિક પોલીસે ઘટનાના બીજા દિવસે સ્થળ મુલાકાત લઈને વધુ તપાસ હાથ ધરી હતી ત્યારે તત્કાલિન સમયે પોલીસે કેટલાક શકમંદોની અટકાયત કરી લીધી હતી. દરમ્યાન આધેડના મોતનું કારણ શોધવા માટે પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને મૃતકના વિસેરા એફએસએલમાં મોકલી આપ્યા હતા. બીજી તરફ પોલીસે સમગ્ર ઘટનાને લઈને કેટલાક લોકોની પુછપરછ કર્યા બાદ સોમવારે આધેડની હત્યા કરનાર પૂત્ર અને ભત્રીજાની પોલીસે ધરપકડ કર્યા બાદ બંને વિરૂધ્ધ બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ, એસઓજીના પી.આઈ. ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ.ઝાલા તથા સ્ટાફના જણાવાયા મુજબ ગત તા. ૧૮ ફેબ્રુઆરીની રાત્રે કેટલાક અજાણ્યા શખ્સોએ પપ વર્ષીય ગોપાલ શંકરભાઈ ઓડની લાશ દાળમીલ પાછળ આવેલ ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. ત્યારબાદ બીજા દિવસે એટલે કે તા. ૧૯ ફેબ્રુઆરીના રોજ જિલ્લા પોલીસવડા તથા અન્ય શાખાના પી.આઈ અને પી.એસ.આઈ સહિત બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ત્યારબાદ પોલીસે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ મૃતકના પરિવારજનો તથા આસપાસમાં રહેતા રહીશોની પુછપરછ કરી હતી.
તો બીજી તરફ મોતનું સાચુ કારણ શોધવા માટે પોલીસે ગોપાલ ઓડની લાશ પી.એમ માટે હિંમતનગર સિવીલમાં મોકલી આપી હતી. જ્યાં મૃતકના વિસેરા લઈ વધુ તપાસ માટે એફએસએલની લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. જેનો અહેવાલ શનિવારે આવી ગયો હતો. જેમાં મૃતક પર બોથડ પદાર્થથી માથામાં ઘા ઝીંકીને હત્યા કરી દીધી હતી. ત્યારબાદ લાશને દાળમીલ પાછળ નાંખી દીધી હતી.
તો બીજી તરફ એલસીબી, એસઓજી અને બી. ડિવિઝન પોલીસે બનાવેલી અલગ-અલગ ટીમોએ તપાસ કરી સીસીટીવીના સર્વેલન્સ, ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન સોર્ચ મારફતે તપાસ કરતાં ગોપાલ ઓડનું મોત નિપજાવનાર તેનો પૂત્ર મિતેશ ઓડ (ઉ.વ.ર૬) તથા ભવાની રેસીડેન્સીમાં આવેલ ભાડાના મકાનમાં રહેતો ઈશ્વર શામળ ઓડએ ભેગા મળીને ગોપાલ ઓડની હત્યા કરી દીધાનું તપાસમાં બહાર આવ્યા બાદ સોમવારે મૃતકના પૂત્ર રવિ ગોપાલ ઓડની ફરીયાદને આધારે મિતેશ ઓડ તથા ઈશ્વર ઓડ વિરૂધ્ધ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
પ્રાંતિજના રસુલપુર પાટીયા પાસેથી રૂ.૧.૬૯ લાખનો દારૂ પકડાયો. કારના ગુપ્ત ખાનામાંથી દારૂ સાથે ચાલક પકડાયો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ અને પ્રાંતિજથી હિંમતનગર જતા નેશનલ હાઈવે પરના રસુલપુર પાસેથી બાતમીને આધારે એલસીબીએ સોમવારે એક કારના ગુપ્ત ખાનામાં સંતાડેલ રૂ.૧,૬૯,૪૨૮ની કિંમતની ૨૬૦ બોટલ વિદેશી દારૂની બોટલો મળી આવ્યા બાદ એલસીબીએ કારના ચાલકની ધરપકડ કરી રૂ.૩,૬૯,૪૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ત્યારબાદ એલસીબીએ આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધવી હતી.
આ અંગે સાબરકાંઠા એલસીબીના પી.આઈ ડી.સી.સાકરિયા તથા પીએસઆઇ રવિરાજસિંહ જાડેજાના જણાવાયા મુજબ સોમવારે તેમની ટીમ પ્રાંતિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન હેડ કોસ્ટેબલ જીગ્નેશ સુરેશભાઈ ને મળેલી બાતમીના આધારે હિંમતનગરથી અમદાવાદ હાઈવે રોડ પર રસુલપુર પાટીયા નજીક એલસીબીએ વોચ ગોઠવી નાકાબંધી કરવામાં આવી હતી. બાતમી મુજબ આવી રહેલ કાર જીજે.૦૧આરડી.૭૦૬૭ હિંમતનગર તરફથી આવતા તેને અટકાવાઈ હતી. ત્યારબાદ પોલીસે કારના ચાલકની પૂછપરછ કરી તલાશી લેતાં કારના પાછળના ભાગે ડીકીમાં બનાવેલા ગુપ્તખાનામાંથી કારના અંદરના ભાગે અને એન્જિનના આગળના ભાગે બોનેટ નીચેથી ભારતીય બનાવટના વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની છૂટી બોટલો મળી આવી હતી. ત્યારબાદ પોલીસે રૂ.૧,૬૯,૪૨૮નો દારૂ અને કાર સહિત રૂ.૩,૬૯,૪૨૮નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અને કાર ચાલક રોડસિંહ દલપતસિંહ રાઠોડ ઉંમર ૩૭, (રહે.હાલ અમદાવાદના દસકોઈ તાલુકાના કઠવાડા)ની અટકાયત કરી તેની વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવાયો હતો.
વડાલીના નવાનગર ત્રણ રસ્તા નજીકથી, સાબરકાંઠા અને મહેસાણા માં બાઈક ચોરી કરતા ગાજીપુરના બે યુવાનો પકડાયા
વડાલી પોલીસે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લીધા
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા શખ્સો બાઈકની ચોરીઓ કરતા હોવાની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાઈ ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલી પોલીસે ધરોઈ રોડ પર આવેલ નવાનગર ત્રણ રસ્તે વાહન ચેકિંગ દરમિયાન ડોભાડા તરફથી આવી રહેલ બે બાઈક સવારને ઝડપી તેની કડક પુછપરછ કરતાં વડાલી તાલુકાના ગાજીપુર ગામના બે યુવાનોને ઝડપી લઈને તેમને સંતાડી રાખેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના આઠ બાઈક કબજે લઈ તેમની વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.
આ અંગે વડાલીના પી.આઈ ડી.આર.પઢેરીયા તથા પી.એસ.આઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમના જણાવાયા મુજબ બે દિવસ અગાઉ તેમનો સ્ટાફ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ડોભાડા તરફથી એક નંબર વગરના બાઈક પર બે શખ્સો વડાલી તરફ આવી રહ્યા છે જે આધારે પોલીસે તેમને બાઈક સાથે અટકાવી નંબર વગરના બાઈકના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતુ પરંતુ બાઈક પર આવી રહેલા અને વડાલી તાલુકાના ગાજીપુર ગામના કિરપાલસિંહ ગઢીયા અને અજીતસિંહ ગઢીયાએ બાઈકના કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે બાઈક કબજે લીધું હતુ.
ત્યારબાદ આ બંનેની કડક પુછપરછ કરતા તેમણે છેલ્લા એક વર્ષ દરમ્યાન સા.કાંના વડાલી,જાદર,ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ૮બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને જણાએ સા.કાં જિલ્લાના જાદર, વડાલી, ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ વડાલી પોલીસે તેમને સાથે રાખી ચોરી કરાયેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લઈ લીધા હતા. અને પકડાયેલા બંને વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં વાહનચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
ઈડર બાયપાસ રોડ પરથી રૂા. ર.૭૯ લાખના ગાંજો, ચરસનો જથ્થો પકડાયો
એસઓજીએ હિંમતનગરના બે ઈસમને ઝડપી લીધા રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો
૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, ૩૦ ગ્રામ ચરસ તથા ૭ર૦ ગ્રામ દેશી ગાંજો પકડાયો
મહેસાણાના આનંદપુરાના શખ્સને પોલીસ શોધવા લાગી
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેડલરો નશીલા પદાથોને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ખાનગીમાં તેનું વેચાણ કરીને યુવાઓની જીદંગી સાથે ખિલવાડ કરી રહ્યા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એસઓજીએ ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ પરથી શકને આધારે હિંમતનગરના બે જણાને ઝડપી લઈ પુછપરછના અંતે આ બંને પાસેથી અલગ-અલગ પેકેટમાં રખાયેલ હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજો મળી ર.૭૯નો જથ્થો તથા ઈકો, મોબાઈલ અને રોકડ મળી અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને અને ભાગી ગયેલ એક મળી ત્રણ વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજીના પી.આઈ ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ ઝાલા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ રહેવરના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ગેરકાયદે નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવા માટે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ રોડ પરથી શકને આધારે બે જણાને દબોચી લીધા હતા.
ત્યારબાદ પકડાયેલા બંને જણાને કડક પુછપરછ કરતાં તેમાં હિંમતનગરના રામેશ્વર મંદિર પાસે આવેલ શારદાકૂંજ સોસાયટીના ૬૧ નંબરના મકાનમાં રહેતા સુનિલ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સહકારીજીન વિસ્તારમાં આવેલ તપોવન સોસાયટીમાં રહેતા બળવંત ચંદુભાઈ ભાટ હોવાનું કબુલ્યું હતુ. ત્યારબાદ બંનેએ જણાવ્યું હતુ કે હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજાને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરવામાં આનંદપુરના જીગ્નેશ મહેશકુમાર પટેલની સંડોવણી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતુ. જોકે તે પોલીસના હાથે પકડાયો નથી.
ત્યારબાદ પોલીસે પકડાયેલા સુનિલ અને બળવંતની ઝડતી લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં આ બંને પાસેથી રૂા. ૧.૬૮ લાખનો ૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, રૂા. ૭પ૦૦ ની કિંમતનું ૩૦ ગ્રામ ચરસ, રૂા. ૩૬ હજારનો દેશી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની પાસેની ઈકો નં. જીજે૦૯બીએન ૦૩૧૭ ને કબજે લઈ લીધી હતી. સાથોસાથ રૂા. ૬૦ હજારની કિંમતના બે મોબાઈલ, રૂા. રપ૬૦ રોકડ મળી પોલીસે અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
હિંમતનગરમાં ટીપી સ્કીમના નામે પ્લોટધારકના પ્લોટની જમીન પડાવી લેવાનો કારસો
ટીપી સ્કીમના બહાને રોડ બનાવી દીધાનો આક્ષેપ
પ્લોટધારકને નોટીસ આપી દીધી પ્લોટધારકે કલેકટરને આવેદનપત્ર આપ્યું
ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી
હિંમતનગર(જીગ્નેશ સોની): હિંમતનગર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની મુદત પૂર્ણ થવાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ કાયદાની છટકબારીઓ શોધીને કેટલાક રહીશોની મિલકતોમાં જાહેર રસ્તાઓ બનાવી દીધા છે ત્યારે ભોગ બનનાર પ્લોટધારકે ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે.
આ અંગે હિંમતનગરની એક સોસાયટીમાં રહેતા મનોજ પ્રવિણચંદ્ર પુરોહિતે જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમનો પ્લોટ સર્વે નં. પ૧-૦ર-૧૧ માં ૧૪ નંબરનો છે. તો બીજી તરફ મુસદ્દારૂપ નગરરચના યોજના હિંમતનગર ક્રમાંક નં. ૩ ગુજરાત ટાઉનપ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ ૪૮-એ ની જોગવાઈને આધિન એકટ નં. ૬૮ અને તે હેઠળના રૂલ નં. ૩૩ મુજબ ટૂંકી નોટીસ આપીને એકટની કલમ ૪૮-એ ની જોગવાઈ મુજબ ટીપી રોડમાં અસરકર્તા જમીનનો ખાલી અને પ્રત્યક્ષ કબજો નગરપાલિકાને સોંપી દેવા નોટીસમાં જણાવ્યુ છે.
તો બીજી તરફ પ્લોટધારકનું કહેવું છે કે વર્ષ ર૦૧૧ માં જાહેરનામાનો ઉલ્લેખ છે આ ડ્રાફટ સ્કીમને પ્રસિધ્ધ થયે ૧પ વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર ધ્વારા ફાઈનલ કરવામાં આવી નથી. એટલુ જ નહી પણ આખરી ગેઝેટ પ્રસિધ્ધ કરાયું નથી, કુદરતી ન્યાય અંતર્ગત ટીપી સ્કીમનો ડ્રાફટ પ્લાન જ્યારે નગરપાલિકાએ જાહેર કરી વાંધા સૂચનો મંગાવ્યા હતા. જે છ મહિના પહેલા ટાઉન પ્લાનર દ્વારા સાંભળવામાં આવ્યા હોવા છતાં મનોજ પુરોહિતના વાંધાઓ ધ્યાને લેવાયા નથી. જેના લીધે તેમની મિલકતમાં ડી-માર્કેશન કરી દેવામાં આવ્યું છે. ફોર્મ એફ આપ્યું નથી. જેથી કાયદેસરની કેટલી કપાત થાય છે તેની જાણ મને નથી.
કપાત અંગે ટેકનીકલ વાંધો ઉઠાવતા પ્લોટધારકનું કહેવું છે કે ર૩પ ચો.મીટરના પ્લોટમાંથી નગરપાલિકાએ અગાઉ ૧૦૦ ચો.મીટર જમીનમાં ટીપી રોડ બનાવી દીધો છે. હવે ફરીથી વધુ કપાત થાય તો તે પછી બાકી રહેતી જમીનમાં પ્લાનીંગ કરી શકાય તેમ નથી.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૧પ વર્ષ સુધી નગરપાલિકાને કાયર્વાહી કરવાનું સુજ્યું છે તે વ્યાજબી નથી. ફોર્મ-એફ મળ્યા પછી પ્લોટધારકને તેનો અભ્યાસ કરવા માટે ૬૦ દિવસની જરૂર હોવા છતાં પુરતો સમય અપાયો નથી. જેથી નારાજ થઈને પ્લોટધારક મનોજ પુરોહિતે બુધવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને દરમ્યાનગીરી કરી ન્યાય અપાવવા માટે માંગ કરી છે. નગરપાલિકાની આ ગેરવ્યાજબી પદ્ધતિને કારણે તેઓ જરૂર પડે હાઈકોર્ટનો આશરો લેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શારદાકૂંજ સોસાયટી પાછળ વૈશાલી સિનેમા ટીપી રોડથી અક્ષય ટીપી રોડને જોડીને ગઢોડા પોલીટેકનીક ચાર રસ્તા સુધીનો માર્ગ અત્યારે ખૂબ જ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને સ્થાનિકો માટે મુશ્કેલી સમાન છે. અગાઉ નવ મીટરનો રોડ યોગ્ય હતો પરંતુ ટીપી રોડને કારણે સ્થાનિક પ્રજાને સગવડો કરતાં અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાનમાં નગરપાલિકાના વાંધા ધ્યાને લઈ ન્યાયિક સુધારા સાથેનો પ્રિલીમરી પ્લાન વહેલી તકે તૈયાર કરવામાં આવે અને સરકારની મંજૂરી બાદ રોડ કપાત કે આગળનું કામ હાથ ધરવામાં આવે તો કાયદાકીય ગૂંચ ઉભી થાય નહીં
