વડાલીના નવાનગર ત્રણ રસ્તા નજીકથી, સાબરકાંઠા અને મહેસાણા માં બાઈક ચોરી કરતા ગાજીપુરના બે યુવાનો પકડાયા
0 0

Read Time:2 Minute, 43 Second

વડાલી પોલીસે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લીધા
હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા અને મહેસાણા જિલ્લામાંથી છેલ્લા કેટલાક સમયથી અજાણ્યા શખ્સો બાઈકની ચોરીઓ કરતા હોવાની ફરીયાદ તત્કાલિન સમયે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોધાઈ ચૂકી છે ત્યારે બે દિવસ અગાઉ સાબરકાંઠાના વડાલી પોલીસે ધરોઈ રોડ પર આવેલ નવાનગર ત્રણ રસ્તે વાહન ચેકિંગ દરમિયાન ડોભાડા તરફથી આવી રહેલ બે બાઈક સવારને ઝડપી તેની કડક પુછપરછ કરતાં વડાલી તાલુકાના ગાજીપુર ગામના બે યુવાનોને ઝડપી લઈને તેમને સંતાડી રાખેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના આઠ બાઈક કબજે લઈ તેમની વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરાઈ હતી.
આ અંગે વડાલીના પી.આઈ ડી.આર.પઢેરીયા તથા પી.એસ.આઈ કે.એલ. જાડેજા અને તેમની ટીમના જણાવાયા મુજબ બે દિવસ અગાઉ તેમનો સ્ટાફ પોલીસ સ્ટેશનની હદમાં ફરજ બજાવી રહ્યો હતો ત્યારે એવી બાતમી મળી હતી કે ડોભાડા તરફથી એક નંબર વગરના બાઈક પર બે શખ્સો વડાલી તરફ આવી રહ્યા છે જે આધારે પોલીસે તેમને બાઈક સાથે અટકાવી નંબર વગરના બાઈકના દસ્તાવેજી પુરાવા રજૂ કરવા માટે કહ્યું હતુ પરંતુ બાઈક પર આવી રહેલા અને વડાલી તાલુકાના ગાજીપુર ગામના કિરપાલસિંહ ગઢીયા અને અજીતસિંહ ગઢીયાએ બાઈકના કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે બાઈક કબજે લીધું હતુ.
ત્યારબાદ આ બંનેની કડક પુછપરછ કરતા તેમણે છેલ્લા એક વર્ષ દરમ્યાન સા.કાંના વડાલી,જાદર,ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી ૮બાઈકની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. બંને જણાએ સા.કાં જિલ્લાના જાદર, વડાલી, ઈડર અને મહેસાણાના વડનગર પોલીસ સ્ટેશનની હદમાંથી બાઈકની ચોરી કર્યાની કબૂલાત કર્યા બાદ વડાલી પોલીસે તેમને સાથે રાખી ચોરી કરાયેલ અંદાજે રૂા. ૩.૮૩ લાખના ૮ બાઈક કબજે લઈ લીધા હતા. અને પકડાયેલા બંને વિરૂધ્ધ બુધવારે વડાલી પોલીસ સ્ટેશનમાં વાહનચોરી સંદર્ભે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઈડર બાયપાસ રોડ પરથી રૂા. ર.૭૯ લાખના ગાંજો, ચરસનો જથ્થો પકડાયો
0 0

Read Time:3 Minute, 54 Second

એસઓજીએ હિંમતનગરના બે ઈસમને ઝડપી લીધા રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લીધો
૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, ૩૦ ગ્રામ ચરસ તથા ૭ર૦ ગ્રામ દેશી ગાંજો પકડાયો
મહેસાણાના આનંદપુરાના શખ્સને પોલીસ શોધવા લાગી

હિંમતનગર(જીગ્નેશ સોની): સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પેડલરો નશીલા પદાથોને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ખાનગીમાં તેનું વેચાણ કરીને યુવાઓની જીદંગી સાથે ખિલવાડ કરી રહ્યા છે ત્યારે બાતમીને આધારે સાબરકાંઠા એસઓજીએ ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ પરથી શકને આધારે હિંમતનગરના બે જણાને ઝડપી લઈ પુછપરછના અંતે આ બંને પાસેથી અલગ-અલગ પેકેટમાં રખાયેલ હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજો મળી ર.૭૯નો જથ્થો તથા ઈકો, મોબાઈલ અને રોકડ મળી અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ પકડાયેલા બંને અને ભાગી ગયેલ એક મળી ત્રણ વિરૂધ્ધ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે એસઓજીના પી.આઈ ડી.સી.પરમાર, પી.એસ.આઈ પી.એમ ઝાલા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ રહેવરના જણાવાયા મુજબ સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી નશીલા પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા પોલીસવડા ડો.પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાથી ગેરકાયદે નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને ઝડપી લેવા માટે કડક કાર્યવાહી કરવાના આપેલા આદેશ બાદ સાબરકાંઠા એસઓજીએ બાતમીને આધારે ગુરૂવારે ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ઈલોલ ચોકડી, ઈડર બાયપાસ રોડ પરથી શકને આધારે બે જણાને દબોચી લીધા હતા.
ત્યારબાદ પકડાયેલા બંને જણાને કડક પુછપરછ કરતાં તેમાં હિંમતનગરના રામેશ્વર મંદિર પાસે આવેલ શારદાકૂંજ સોસાયટીના ૬૧ નંબરના મકાનમાં રહેતા સુનિલ ધર્મેન્દ્રસિંહ સોલંકી તથા સહકારીજીન વિસ્તારમાં આવેલ તપોવન સોસાયટીમાં રહેતા બળવંત ચંદુભાઈ ભાટ હોવાનું કબુલ્યું હતુ. ત્યારબાદ બંનેએ જણાવ્યું હતુ કે હાઈબ્રીડ ગાંજો, ચરસ તથા દેશી ગાંજાને અન્ય સ્થળેથી લાવી હિંમતનગર અને આસપાસના વિસ્તારમાં વેચાણ કરવામાં આનંદપુરના જીગ્નેશ મહેશકુમાર પટેલની સંડોવણી હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતુ. જોકે તે પોલીસના હાથે પકડાયો નથી.
ત્યારબાદ પોલીસે પકડાયેલા સુનિલ અને બળવંતની ઝડતી લેવાનું શરૂ કર્યું હતુ. જેમાં આ બંને પાસેથી રૂા. ૧.૬૮ લાખનો ૪૮ ગ્રામ હાઈબ્રીડ ગાંજો, રૂા. ૭પ૦૦ ની કિંમતનું ૩૦ ગ્રામ ચરસ, રૂા. ૩૬ હજારનો દેશી ગાંજો મળી આવ્યો હતો. ત્યારબાદ પોલીસે તેમની પાસેની ઈકો નં. જીજે૦૯બીએન ૦૩૧૭ ને કબજે લઈ લીધી હતી. સાથોસાથ રૂા. ૬૦ હજારની કિંમતના બે મોબાઈલ, રૂા. રપ૬૦ રોકડ મળી પોલીસે અંદાજે રૂા. પ.૭૪ લાખનો મુદ્દામાલ કબજે લઈ બંને વિરૂધ્ધ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

હિંમતનગરમાં ટીપી સ્કીમના નામે પ્લોટધારકના પ્લોટની જમીન પડાવી લેવાનો કારસો
1 0

Read Time:5 Minute, 4 Second

ટીપી સ્કીમના બહાને રોડ બનાવી દીધાનો આક્ષેપ
પ્લોટધારકને નોટીસ આપી દીધી પ્લોટધારકે કલેકટરને આવેદનપત્ર આપ્યું
ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી

હિંમતનગર(જીગ્નેશ સોની): હિંમતનગર નગરપાલિકાના ચૂંટાયેલા સદસ્યોની મુદત પૂર્ણ થવાની આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓએ કાયદાની છટકબારીઓ શોધીને કેટલાક રહીશોની મિલકતોમાં જાહેર રસ્તાઓ બનાવી દીધા છે ત્યારે ભોગ બનનાર પ્લોટધારકે ટાઉનપ્લાનીંગ સ્કીમનો ફાઈનલ નોટીફીકેશન ગેઝેટમાં પ્રસિધ્ધ થયું નથી છતાં કાર્યવાહી કરી હોવાના આક્ષેપ સાથે મંગળવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને ન્યાય અપાવવાની માંગ કરી છે.
આ અંગે હિંમતનગરની એક સોસાયટીમાં રહેતા મનોજ પ્રવિણચંદ્ર પુરોહિતે જિલ્લા કલેકટરને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યા મુજબ તેમનો પ્લોટ સર્વે નં. પ૧-૦ર-૧૧ માં ૧૪ નંબરનો છે. તો બીજી તરફ મુસદ્દારૂપ નગરરચના યોજના હિંમતનગર ક્રમાંક નં. ૩ ગુજરાત ટાઉનપ્લાનિંગ અને અર્બન ડેવલપમેન્ટ એક્ટ ૧૯૭૬ ની કલમ ૪૮-એ ની જોગવાઈને આધિન એકટ નં. ૬૮ અને તે હેઠળના રૂલ નં. ૩૩ મુજબ ટૂંકી નોટીસ આપીને એકટની કલમ ૪૮-એ ની જોગવાઈ મુજબ ટીપી રોડમાં અસરકર્તા જમીનનો ખાલી અને પ્રત્યક્ષ કબજો નગરપાલિકાને સોંપી દેવા નોટીસમાં જણાવ્યુ છે.
તો બીજી તરફ પ્લોટધારકનું કહેવું છે કે વર્ષ ર૦૧૧ માં જાહેરનામાનો ઉલ્લેખ છે આ ડ્રાફટ સ્કીમને પ્રસિધ્ધ થયે ૧પ વર્ષ થઈ ચૂક્યા છે. તેમ છતાં રાજ્ય સરકાર ધ્વારા ફાઈનલ કરવામાં આવી નથી. એટલુ જ નહી પણ આખરી ગેઝેટ પ્રસિધ્ધ કરાયું નથી, કુદરતી ન્યાય અંતર્ગત ટીપી સ્કીમનો ડ્રાફટ પ્લાન જ્યારે નગરપાલિકાએ જાહેર કરી વાંધા સૂચનો મંગાવ્યા હતા. જે છ મહિના પહેલા ટાઉન પ્લાનર દ્વારા સાંભળવામાં આવ્યા હોવા છતાં મનોજ પુરોહિતના વાંધાઓ ધ્યાને લેવાયા નથી. જેના લીધે તેમની મિલકતમાં ડી-માર્કેશન કરી દેવામાં આવ્યું છે. ફોર્મ એફ આપ્યું નથી. જેથી કાયદેસરની કેટલી કપાત થાય છે તેની જાણ મને નથી.
કપાત અંગે ટેકનીકલ વાંધો ઉઠાવતા પ્લોટધારકનું કહેવું છે કે ર૩પ ચો.મીટરના પ્લોટમાંથી નગરપાલિકાએ અગાઉ ૧૦૦ ચો.મીટર જમીનમાં ટીપી રોડ બનાવી દીધો છે. હવે ફરીથી વધુ કપાત થાય તો તે પછી બાકી રહેતી જમીનમાં પ્લાનીંગ કરી શકાય તેમ નથી.
હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ૧પ વર્ષ સુધી નગરપાલિકાને કાયર્વાહી કરવાનું સુજ્યું છે તે વ્યાજબી નથી. ફોર્મ-એફ મળ્યા પછી પ્લોટધારકને તેનો અભ્યાસ કરવા માટે ૬૦ દિવસની જરૂર હોવા છતાં પુરતો સમય અપાયો નથી. જેથી નારાજ થઈને પ્લોટધારક મનોજ પુરોહિતે બુધવારે જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરીને દરમ્યાનગીરી કરી ન્યાય અપાવવા માટે માંગ કરી છે. નગરપાલિકાની આ ગેરવ્યાજબી પદ્ધતિને કારણે તેઓ જરૂર પડે હાઈકોર્ટનો આશરો લેશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે શારદાકૂંજ સોસાયટી પાછળ વૈશાલી સિનેમા ટીપી રોડથી અક્ષય ટીપી રોડને જોડીને ગઢોડા પોલીટેકનીક ચાર રસ્તા સુધીનો માર્ગ અત્યારે ખૂબ જ ખરાબ હોવાને કારણે વાહનચાલકો અને સ્થાનિકો માટે મુશ્કેલી સમાન છે. અગાઉ નવ મીટરનો રોડ યોગ્ય હતો પરંતુ ટીપી રોડને કારણે સ્થાનિક પ્રજાને સગવડો કરતાં અગવડોનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી તંત્ર દ્વારા ડ્રાફ્ટ પ્લાનમાં નગરપાલિકાના વાંધા ધ્યાને લઈ ન્યાયિક સુધારા સાથેનો પ્રિલીમરી પ્લાન વહેલી તકે તૈયાર કરવામાં આવે અને સરકારની મંજૂરી બાદ રોડ કપાત કે આગળનું કામ હાથ ધરવામાં આવે તો કાયદાકીય ગૂંચ ઉભી થાય નહીં

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %