Breaking News
ન્યાયિક ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: હવે ‘તારીખ પે તારીખ’ નહીં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ માટે નક્કી કરી ડેડલાઈન, ૩ મહિનામાં આપવો પડશે ચુકાદો
2 0
Read Time:6 Minute, 2 Second

જામીન અરજીઓ પર ત્વરિત નિર્ણય અને જેલ મુક્તિના કડક નિયમો
ડિજિટલ પારદર્શિતા: ૭ દિવસમાં ચુકાદો ઓનલાઇન કરવો ફરજિયાત
ઝારખંડ હાઈકોર્ટની બેદરકારી બાદ સર્વોચ્ચ અદાલતનું કડક વલણ
નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રમાં ‘ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે’ (Justice delayed is justice denied) એ ઉક્તિ ઘણીવાર સાર્થક થતી જોવા મળે છે. વર્ષો સુધી ચાલતા કેસો અને સુનાવણી પૂર્ણ થયા બાદ પણ મહિનાઓ સુધી અટકી રહેલા ચુકાદાઓને કારણે સામાન્ય માનવીનો ન્યાયતંત્ર પરથી ભરોસો ડગવા લાગ્યો હતો. આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સર્વોચ્ચ અદાલતે દેશની તમામ હાઈકોર્ટ માટે ચુકાદાઓ જાહેર કરવા અને જામીન અરજીઓના નિકાલ માટે કડક ‘ડેડલાઈન’ (સમયમર્યાદા) નક્કી કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હવેથી કોઈપણ હાઈકોર્ટ કોઈ કેસમાં સુનાવણી પૂર્ણ કર્યા બાદ તેનો ફેંસલો (જજમેન્ટ) ૩ મહિનાથી વધુ સમય માટે સુરક્ષિત રાખી શકશે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ આદેશ આપતા કહ્યું કે, અદાલતોએ વધુમાં વધુ ૩ મહિનાની અંદર પોતાનો અંતિમ ચુકાદો સંભળાવી દેવો પડશે. જો કોઈ ન્યાયાધીશ નિર્ધારિત ૩ મહિનામાં ચુકાદો આપવામાં નિષ્ફળ રહે છે, તો રજિસ્ટ્રાર જનરલે આ બાબત સંબંધિત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ધ્યાને લાવવી પડશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વધુમાં વધુ ૨ અઠવાડિયાનો વધારાનો સમય આપી શકશે, અને જો તેમ છતાં પણ નિર્ણય ન આવે, તો તે કેસ તાત્કાલિક અન્ય બેન્ચને ટ્રાન્સફર કરવામાં આવશે.
વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને સર્વોપરી ગણતા સુપ્રીમ કોર્ટે જામીન અરજીઓ બાબતે અત્યંત માનવીય અને કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જામીન સંબંધિત કોઈપણ મામલામાં સુનાવણી પૂર્ણ થયાના બીજા જ દિવસે ચુકાદો જાહેર કરી દેવો જોઈએ. આ ઉપરાંત, જેલ પ્રશાસનને તે જ દિવસે જાણ કરવાની રહેશે જેથી પ્રક્રિયામાં વિલંબ ન થાય.
ખાસ કરીને ‘અંડરટ્રાયલ’ (જેમનો કેસ હજુ ચાલુ છે તેવા) કેદીઓ માટે કોર્ટે રાહત આપતા કહ્યું છે કે, જામીન મળ્યાના તે જ દિવસે અથવા મોડામાં મોડા તેના બીજા દિવસે કેદીને જેલમાંથી મુક્ત કરવાના રહેશે. ટ્રાયલ કોર્ટે આ નિયમોના પાલન અંગે હાઈકોર્ટને સમયાંતરે રિપોર્ટ પણ સોંપવો પડશે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને એક પણ દિવસ વધારાનો જેલમાં ન વિતાવવો પડે.
ટેકનોલોજીના યુગમાં પારદર્શિતા લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. હવેથી હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે માત્ર તેનો મુખ્ય નિર્ણય (ઓપરેટિવ પાર્ટ) જ જાહેર કરવાનો રહેશે નહીં, પરંતુ તે નિર્ણય પાછળના કાયદાકીય કારણો અને સંપૂર્ણ વિગતો ૭ દિવસની અંદર કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવી પડશે. જો ૧૫ દિવસ સુધી કારણો અપલોડ ન થાય તો અરજદાર રજૂઆત કરી શકશે અને જો ૩૦ દિવસ સુધી વિગતો જાહેર ન કરવામાં આવે, તો તે કેસ પાછો ખેંચીને નવી બેન્ચ સમક્ષ સુનાવણી માટે લઈ જવાની છૂટ અરજદારને આપવામાં આવશે.
આ ઐતિહાસિક આદેશ પાછળ ઝારખંડ હાઈકોર્ટની એક ગંભીર બેદરકારી કારણભૂત છે. સુપ્રીમ કોર્ટમાં એવી ફરિયાદ થઈ હતી કે ઝારખંડ હાઈકોર્ટે એક ફોજદારી અપીલ પર અંતિમ ચર્ચાઓ સાંભળ્યા પછી પણ છેલ્લા ૨ થી ૩ વર્ષથી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો અને કોઈ નિર્ણય લેવાતો નહોતો. આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલી સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને તમામ હાઈકોર્ટ પાસે સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો હતો. આ તપાસમાં જાણવા મળ્યું કે અનેક હાઈકોર્ટમાં કેસો સુનાવણી બાદ પણ લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે, જેના પરિણામે આ કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ભારતીય ન્યાયિક ઇતિહાસમાં એક સીમાચિહ્ન સમાન સાબિત થશે. તેનાથી ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ આવશે, જેલોમાં ભીડ ઘટશે અને સામાન્ય નાગરિકોને સમયસર ન્યાય મળવાની આશા જીવંત થશે. દેશની તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ગાઈડલાઈન્સ તેમના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે.
0 0
Read Time:2 Minute, 18 Second

રાજા રઘુવંશી હત્યાકાંડમાં એક નવો વળાંક આવ્યો છે. મુખ્ય આરોપી સોનમ રઘુવંશીને જેલમાંથી મુક્ત કરવામાં આવી છે, પરંતુ આ મુક્તિ પાછળ પુરાવાઓનો અભાવ નહીં પણ પોલીસની દસ્તાવેજી ભૂલ જવાબદાર છે.

ખોટી કલમ: નવી ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ હત્યા માટેની કલમ 103(1) લાગે છે. જોકે, પોલીસે સોનમની ધરપકડના મેમો, કેસ ડાયરી અને અન્ય દસ્તાવેજોમાં ભૂલથી 403(1) લખી દીધું હતું.

અસ્તિત્વ જ નથી: BNS માં કલમ 403(1) જેવી કોઈ જોગવાઈ જ નથી. જ્યારે જૂની IPC મુજબ આ કલમ પ્રોપર્ટી સાથે જોડાયેલી હતી.

મૌલિક અધિકારોનો ભંગ: અદાલતે નોંધ્યું કે ધરપકડ સમયે આરોપીને કયા ગુના હેઠળ પકડવામાં આવી છે તેની સાચી જાણકારી આપવી ફરજિયાત છે. સોનમના કિસ્સામાં પોલીસે તેને હત્યાની કલમ (103-1) વિશે લેખિતમાં જાણ કરી નહોતી, જે કલમ 22(1) મુજબ તેના મૌલિક અધિકારનું ઉલ્લંઘન છે.

શિલોંગની એડિશનલ ડીસી (જ્યુડિશિયલ) દશાલિન આર. ખરબતેંગે જણાવ્યું કે, “ધરપકડના કારણો ધરપકડ પહેલા જ નક્કી હોવા જોઈએ. જો તમામ દસ્તાવેજોમાં ખોટી કલમ લખાયેલી હોય, તો તેને માત્ર સામાન્ય ટાઈપિંગ મિસ્ટેક માની શકાય નહીં.” સોનમ ટ્રાયલ દરમિયાન શિલોંગ શહેર છોડી શકશે નહીં. તે પુરાવા કે સાક્ષીઓ સાથે કોઈ છેડછાડ કરી શકશે નહીં. કોર્ટની દરેક તારીખે હાજર રહેવું પડશે. 50,000 રૂપિયાનો પર્સનલ બોન્ડ અને બે જામીન રજૂ કરવા પડશે. જામીન મળ્યા બાદ સોનમના ભાઈ ગોવિંદ રઘુવંશીએ સ્પષ્ટ કર્યું છે કે પરિવાર તેને ઘરમાં નહીં રાખે. જો માતા-પિતા તેને ઘરે લાવશે તો ગોવિંદ પોતે ઘર છોડી દેશે. સોનમ અત્યારે શિલોંગમાં જ રહેવા મજબૂર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %