“ફરજ નિષ્ઠાથી નિભાવનાર વ્યક્તિ ક્યારેય નિવૃત્ત થતો નથી” — આ કહેવતને સાચી સાબિત કરતા સાબરકાંઠા જિલ્લા પોલીસ દળના કમાન્ડો દિનેશભાઈ ઝરીયા ગૌરવપૂર્ણ રીતે નિવૃત્ત થયા છે. પોતાની નિષ્ઠા, ફરજપ્રતિ પ્રતિબદ્ધતા અને બહાદુરી માટે ઓળખ ધરાવતા દિનેશભાઈએ લાંબા સમય સુધી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
તેમની નિવૃત્તિ પ્રસંગે જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે વિશેષ સન્માન આપતા દિનેશભાઈને પોતાની ખુરશીમાં બેસાડી વિદાય આપી હતી.આ અનોખી રીતથી આપેલ સન્માન પ્રસંગે ઉપસ્થિત અધિકારીઓ અને સ્ટાફમાં ગૌરવની લાગણી પ્રસરી હતી.
જિલ્લા પોલીસ વડાએ દિનેશભાઈના સમર્પિત સેવાકાળની પ્રશંસા કરતાં જણાવ્યું કે, તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા અને શિસ્ત પોલીસ દળ માટે પ્રેરણારૂપ રહેશે. સાથે જ તેમના નિવૃત્તિ જીવન માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી અને આગળનું જીવન સુખ, શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર રહે તેવી શુભેચ્છા વ્યક્ત કરી.
કમાન્ડો દિનેશભાઈ ઝરીયાનું પોલીસ સેવાકાળ દરમ્યાનનું યોગદાન સાબરકાંઠા જિલ્લામાં હંમેશા યાદગાર બની રહેશે અને તેમના કાર્યથી યુવા પોલીસકર્મીઓને પ્રેરણા મળતી રહેશે.