હિંમતનગર સહિત રાજયના અન્ય ઠેકાણે તથા રાજસ્થાનમાં છેલ્લા કેટલાક સમયથી આવતી જતી મહિલાઓના ગળામાંથી સોનાના દોરાની લુંટ કર્યાની ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ બાદ બે દિવસ અગાઉ સાબરકાંઠા એલસીબીએ બાતમીને આધારે શામળાજીથી હિંમતનગર આવી રહેલ એક બાઇક સવારને અટકાવી પુછપરછ કર્યા બાદ તેની ઝડતી લેતા તેની પાસેથી સોનાના તુટેલા દોરા મળી આવ્યા હતા. જે અંગે પુછતા પકડાયેલા શખ્સે સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે રૂપિયા ૬.૭૦ લાખનો મુદ્દામાલ કબ્જે લઇ વધુ પુછપરછ કરતાં તે ગુજરાત અને રાજસ્થાનમાં ચેઇન સ્નેચીંગ કરતી આંતરરાજય ગેંગનો સુત્રધાર હોવાનું બહાર આવ્યા બાદ એલસીબીએ તેની વિરૂધ્ધ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.
આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા. પાર્થરાજસિંહ ગોહિલ તથા એલસીબીના પીઆઇ ડી.સી. સાકરીયા ના જણાવ્યા મુજબ ગત તા. ૮ મેના રોજ પીએસઆઇ આર.કે. જોષીની ટીમ તેમની હદમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે એવી બાતમી મળી હતી કે હિંમતનગરના ખેડ તસીયા રોડ પર એક મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચીંગ કરનાર શખ્સ શામળાજીથી હિંમતનગર તરફ અન્ય એક શખ્સની સાથે બાઇક પર આવી રહ્યો છે. જે આધારે એલસીબીએ તેને અટકાવી તેની ઝડતી લીધી હતી. દરમિયાન તેના ખિસ્સામાંથી લગભગ ચાર તુટેલા સોનાની ચેઇનો મળી આવી હતી.
જેથી પોલીસે તેની કડક પુછપરછ કરતાં પકડાયેલા દિનેશ ડાહ્યાલાલ ખરાડી તથા તેની પાછળ બેઠેલ સંજય રામદાસ સાધુ હોવાનું કબુલ્યું હતુ. વધુમાં આ બન્ને જણાએ જણાવ્યુ હતુ કે ગત તા. ૫ મેના રોજ ખેડ તસીયા રોડ પરથી પસાર થઇ રહેલ એક મહિલાના ગળામાંથી સોનાના દોરાની લુંટ કરી હતી. ઉપરાંત તેમની પાસેથી મળી આવેલ અન્ય સોનાની ચેઇનો રાજસ્થાનમાંથી ચોરી કરી હોવાનું કબુલ્યું હતુ. તથા વધુમાં બન્ને જણાએ જણાવ્યુ હતુ કે તેઓ છેલ્લા કેટલાક સમયથી ગુજરાત અને રાજસ્થાનમાં સોનાના દોરાની લુંટ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા.
પકડાયેલા બન્ને વિરૂધ્ધ હિંમતનગર એ ડિવીઝન, રાજસ્થાનના ઝોથરી તાલુકાના નવાગળા ગામે રહેતા ગોપાલ કાન્તિલાલ ડામોર, ગૌરીશંકર ડાહ્યાલાલ ખરાડી તથા રાજસ્થાનના કુવાન, બિંછીવાડા, ઘાટોલા, પીંપલખુંટ અને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની હદમાં સોનાના દોરાની ચોરી કરી હોવાની કબુલાત કર્યા બાદ પોલીસે તેમની પાસેથી અંદાજે રૂપિયા ૬.૭૦ લાખના સોનાના દોરા, ૨૫ હજારના બાઇક નં.આર.જે.૧૨.એસ.એસ.૯૧૦૪ તથા રૂપિયા ૧૦ હજારનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. આમ સાબરકાંઠા એલસીબીને ચેઇન સ્નેચીંગ કરી તરખાટ મચાવતી આંતરરાષ્ટ્રીય ગેંગના બન્ને સુત્રોધારોને ઝડપી લેવામાં સફળતા મળી હતી.
આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ તથા સાબરકાંઠા જિલ્લા પંચાયતની બાલીસણા બેઠકના ઉમેદવાર વિષ્ણુભાઈ વિઠ્ઠલભાઈ પટેલે નામાંકન ફોર્મ ભર્યા બાદ અંતિમ ક્ષણે અચાનક જ પરત ખેંચી લેતા રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ, તેમણે પક્ષના કોઈપણ નેતાઓને જાણ કર્યા વિના આ નિર્ણય લીધો હોવાનું કહેવાઈ રહ્યું છે. જેને કારણે પક્ષમાં આંતરિક અસંતોષ અને સવાલો ઊભા થયા છે. લોકમુખે તો વધુ ગંભીર આક્ષેપો પણ થઈ રહ્યા છે અંદાજિત ૬૦ થી ૭૦ લાખ રૂપિયાની લેવડદેવડ થયાની ચર્ચાએ આ સમગ્ર ઘટનાને વધુ શંકાસ્પદ બનાવી દીધી છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ નથી.
પરિસ્થિતિ ત્યારે વધુ વિવાદાસ્પદ બની જ્યારે સલાલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની જાહેર સભામાં વિષ્ણુભાઈની હાજરી જોવા મળી. આ દ્રશ્યે લોકોના આક્ષેપોને બળ આપ્યું છે કે શું આ રાજકીય ‘સેટિંગ’નું પરિણામ છે? શું ઉમેદવાર વેચાઈ ગયા હોવાના આરોપોમાં કોઈ સત્ય છે?
પ્રાંતિજની જનતા હવે ખુલ્લેઆમ પ્રશ્નો પુછી રહી છે—શું લોકતંત્રમાં મતદારોના વિશ્વાસ સાથે ખેલ કરવામાં આવી રહ્યો છે? શું રાજકારણમાં પૈસાની તાકાત ફરી એકવાર પ્રભુત્વ જમાવી રહી છે?
આ સમગ્ર ઘટનાએ માત્ર એક ઉમેદવારની વિશ્વસનીયતા જ નહીં પરંતુ સમગ્ર રાજકીય પ્રણાલીની પારદર્શિતા પર પણ પ્રશ્નચિહ્ન મૂકી દીધું છે. હકીકત શું છે તે તો તપાસ અને સમય જ બતાવશે, પરંતુ હાલ માટે આ ઘટના લોકતંત્ર પર કાળા ડાઘ સમાન લાગી રહી છે.
સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના કેશરપુરા ગામની સીમના એક ખેતરમાંથી ગુરૂવારે વડાલી પોલીસે ડ્રોનની મદદથી ગાંજાના વાવેતરની વિગતો મેળવી હતી ઉપરાંત મળેલી બાતમી બાદ પોલીસે અંદાજે રૂ.ર૦ લાખની કિંમતનો અંદાજે ૪૦ કિલોથી વધુ નશીલા પદાર્થ તરીકે ઓળખાતા લીલા ગાંંજાના છોડ કબ્જે લઈને એક શખ્સની અટકાયત કરી એનડીપીએસ એકટ અંતર્ગત ગુનો નોંધી ઘટતી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે વડાલીના પીઆઈ ડી.આર.પઢેરીયા તથા સ્ટાફને મળેલી બાતમી બાદ ગુરૂવારે કેશરપુરા ગામની સીમમાં આવેલ એક ખેતરમાં રહેતા મનસુખ ભાઈ ડુંડ એ તંત્ર પાસેથી કોઈપણ જાતની પરવાનગી લીધા વિના ખેતરમાં ગેરકાયદે ગાંજાનું વાવેતર કર્યું હોવાની બાતમી વડાલી પોલીસને મળ્યા બાદ પોલીસે બાતમીની ચોકસાઈ કરવા માટે ડ્રોન કેમેરાની મદદ લઈને જે ખેતરમાં ગાંજાનું વાવેતર થયું હતું તેની સચોટ માહિતી મેળવી હતી.
ત્યારબાદ વડાલી પોલીસને મળેલી માહિતીને આધારે ડ્રોન ફૂટેજમાં શંકાસ્પદ છોડ દેખાતા પોલીસની ટીમ સાથે તાત્કાલિક ખેતરમાં દરોડો પાડયો હતો. તપાસ દરમિયાન ખેતરમાંથી અંદાજે ગાંજાના ૬૮ છોડ મળી આવ્યા હતા. ત્યારબાદ વડાલી પોલીસે સ્થળ પર ગાંજાના લીલા છોડનું વજન કરતાં અંંદાજે ૪૦ કિલો અને ૨૦૦ ગ્રામ લીલો ગાંજો હોવાનું જણાવયું હતું. હાલ આંતરરાષ્ટ્રીય બજાર કિંમત મુજબ આ જથ્થાની કિંમત અંદાજે ૨૦.૧૦ લાખ રૂપિયા થવા જાય છે. જેથી પોલીસે મનસુખભાઈ ડુંડ (ઉંમર ૪૭ વર્ષ)ની ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે આરોપીએ આર્થિક લાભ મેળવવા અને વેચાણના ઈરાદે આ ગેરકાયદેસર ખેતી કરી હતી. પોલીસે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી રૂ.૩ હજારની કિંમતનો મોબાઈલ મળી અંદાજે રૂ.ર૦.૧૦ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.
હિંમતનગર એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં ત્રણ વર્ષ અગાઉ ચોરીના ગુનામાં સંડોવાયેલ અને નાસતા ફરતા એક શખ્સને સોમવારે એ-ડીવીઝન પોલીસે મોતીપુરા ચાર રસ્તા નજીકથી ઝડપી લઈને વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયો હતો.
આ અંગે એ-ડીવીઝનના પીઆઈ કે.વાય.વ્યાસ તથા પીએસઆઈ એન.બી.વાઘેલા અને સ્ટાફના જણાવાયા મુજબ સોમવારે તેમનો સ્ટાફ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલીંગ કરી રહયો હતો ત્યારે ચોરીના ગુનામાં ત્રણ વર્ષથી નાસતો ફરતો કમલેશ નારણજી ભગોરા (રહે.સંચીયા, તા.બીંછીવાડા) મોતીપુરા ચાર રસ્તા નજીક ફરતો હોવાને બાતમીને આધારે એ-ડીવીઝન પોલીસે જઈને પુછપરછ કર્યા બાદ કમલેશ ભગોરાની અટક કરી વધુ તપાસ માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં લવાયો હતો.
સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના ગુનામાં નાસતા ફરતા અને અમદાવાદના છારાનગર અચેરમાં રહેતા એક શખ્સને બાતમીને આધારે સોમવારે હિંમતનગર એ-ડીવીઝન પોલીસે તેને હિંમતનગર બસ સ્ટેન્ડ આગળથી ઝડપી લીધો હતો.
આ અંગે હિંમતનગર બી-ડીવીઝનના પી.આઈ એ.એમ ચૌધરી તથા પીએસઆઈ આર.એલ.દેસાઈ તથા સ્ટાફના જણાવાયા મુજબ થોડાક મહિના અગાઉ વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં દારૂની હેરાફેરી તથા અન્ય ગુનામાં સંડોવાયેલ રતન લક્ષ્મણભાઈ જાડેજા (રહે.છારાનગર, અચેર, અમદાવાદ)ને પોલીસ શોધખોળ કરતી હતી ત્યારે સોમવારે તે હિંમતનગર બસ સ્ટેન્ડ નજીક ફરતો હોવાની બાતમીને આધારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસે તેને ઝડપી લઈ વધુ તપાસ માટે વિજયનગર પોલીસને હવાલે કરાયો હતો.
હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ વર્ષ અગાઉ એટ્રોસીટી અને મૃત્યુના દુષ્પ્રેરણના ગુનામાં સંડોવાયેલા બે જણાને તાજેતરમાં મોરબીના માળીયામીયાણા ખાતેથી ઝડપી લઈ એલસીબીએ બંનેને હિંમતનગર લાવી વધુ તપાસ માટે બી-ડીવીઝન પોલીસને હવાલે કરાયા હતા.
આ અંગે એલસીબીના પીઆઈ ડી.સી.સાકરીયા, પીએસઆઈ કે.સી.બ્રહ્મભટ્ટ તથા સ્ટાફના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં રવિકુમાર કાનજીભાઈ મોચીની પત્નિ ચાંદનીબેન રમજાનમીયા કતીયા પ્રેમ સબંધ હોવાને કારણે ભાગી ગયા હતા. ત્યારબાદ આ બંને જણા નાસતા ફરતા હતા.તો બીજી તરફ રવિ મોચીએ સુસાઈડ નોટ લખી ગત તા.૪ માર્ચ ર૦ર૩ના રોજ પોતાના ઘરે ગળાફાંસો ખાઈને મોતને વ્હાલુ કરી દીધુ હતું.
જે અંગેની ફરીયાદ નોંધાયા બાદ છેલ્લા ત્રણ વર્ષ થી રમજાનમીયા ઈબ્રાહીમભાઈ કતીયા તથા ચાંદનીબેન મોરબીના માળીયામીયાણામાં રહેતા હોવાની બાતમીને આધારે તાજેતરમાં એલસીબીના સ્ટાફે બંને જણાને ઝડપી લીધા હતા અને વધુ તપાસ માટે હિંમતનગર લાવી બી-ડીવીઝન પોલીસને હવાલે કરવામાંં આવ્યા હતા.
હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનની હદમાં દારૂની ગેરકાયદે હેરાફેરી તથા વેચાણ કરવાના ગુનામાં સંડોવાયેલ બીંછીવાડા તાલુકાના મોદર ગામનો એક શખ્સને તાજેતરમાં બી-ડીવીઝન પોલીસે પકડી લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
આ અંગે બી-ડીવીઝનના પીઆઈ એ.એમ.ચૌધરી તથા સ્ટાફના જણાવાયા મુજબ થોડાક સમય અગાઉ બીંછીવાડા તાલુકાના મોદર ગામે રહેતા અશ્વિન કાંતિલાલ ડામોર વિરૂધ્ધ ગુનો દાખલ થયો હોવા છતાં તે પકડાયો ન હતો. દરમ્યાન બાતમીને આધારે બી-ડીવીઝન પોલીસે તાજેતરમાં અશ્વિન ડામોરને મોદર ગામેથી ઝડપી લીધો હતો ત્યારબાદ તેને હિંમતનગર લાવી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડરના લાલોડા-સવગઢ રોડ પર આવેલ નાગરિક અન્ન પુરવઠા વિભાગના સરકારી ગોડાઉનમાં છેલ્લા કેટલાક દિવસોથી સરકારે બ્લેકલિસ્ટ કરેલ એક શંકાસ્પદ વ્યકિતના આંટાફેરા વધી ગયા હોવાનું માનીને ઇડર સહિત અન્ય સરકારી કચેરીઓમાં અનેક તર્કવિર્તક શરૂ થયા છે.
આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ઇડરના આ ગોડાઉનનો કોન્ટ્રાકટ રમેશ પ્રજાપતિને આપવામાં આવ્યો છે. જયાં દરેક ઠેકાણે અનાજ મોકલવા માટે વાહનોનો કોન્ટ્રાકટ તેમની પાસે છે. ત્યારે તેમણે પેટા કોન્ટ્રાકટ તરીકે નારાયણ ખટીકને રાખ્યા છે. સ્થાનિકોના કહેવા મુજબ આ નારાયણ ખટીક સામે અગાઉ પોલીસ ફરિયાદ થઇ હોવાને કારણે તેમને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ થઇ રહ્યા છે તેમ છતાં રમેશ પ્રજાપતિ દ્વારા નારાયણ ખટીકને મહત્વ અપાઇ રહ્યું છે. જેથી તેઓ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાની ચર્ચા શરૂ થઇ છે. તો બીજી તરફ અનાજ મોકલવા માટે ઉપયોગમાં લેવાતા વાહનોનું ફિટનેસ પ્રમાણપત્ર,જીપીએસ સિસ્ટમ તથા વાહન અમુક વર્ષનું હોવું જોઇએ તેવો નિયમ હોવા છતાં અનાજની હેરાફેરીમાં જૂના વાહનોનો ઉપયોગ કરાતો હોવાનું મનાઇ રહ્યું છે. તેથી પુરવઠા વિભાગ દ્વારા સત્વરે તપાસ કરીને નિષ્પક્ષ કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે.
હિંમતનગરમાં વ્યાજે લીધેલ રૂ.૧૦ લાખને બદલે રૂ.૬૦ લાખ ચુકવ્યા હોવા છતાં ત્રાસ અપાતાં એક વિરૂધ્ધ ફરીયાદ. છાપરીયામાં રહેતા વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી મરાવી નાખવાની ધમકી આપીરાજયમાં ગૃહ વિભાગ દ્વારા વ્યાજખોરો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે તેમ છતાં હિંમતનગરના ચિસ્તીયાનગરમાં રહેતા એક રહીશે આઠ વર્ષ અગાઉ હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા અને નાણાં ધીરધારનું લાયસન્સ ન હોવા છતાં માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ આપ્યા બાદ પાંચ વર્ષ સુધી વ્યાજ અને લીધેલ રકમ મળી અંદાજે રૂ.૬૦ લાખ અને પેનલ્ટી પેટે દર મહિને રૂ.૧પ હજાર ચુકવ્યા હોવા છતાં છાપરીયા વિસ્તારમાં રહેતા વ્યાજખોરે અમદાવાદના માણસો મારફતે ઉઠાવી મરાવી નાખવાની ધમકી આપી આખા પરિવારને માનસિક અને આર્થિક રીતે ત્રાસ અપાતો હોવાના આક્ષેપ સાથેની ફરીયાદ સોમવારે બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.
આ અંગે ચિસ્તીયાનગરમાં રહેતા નજરમોહમદ ઈન્દ્રીશભાઈ મેમણે વર્ષ ર૦૧૮માં હડિયોલપુલ છાપરીયા વિસ્તારમાં રહેતા ફીરોજખાન ઉર્ફે વકાર ઈકબાલભાઈ પઠાણ પાસેથી માસિક ૧૦ ટકાના વ્યાજે રૂ.૧૦ લાખ લીધા હતા. જેના માટે પાંચ વર્ષ સુધી માસિક રૂ.૧ લાખ લેખે રૂ.૬૦ લાખ વ્યાજ સાથે ચુકવ્યા હતા. જેમાં રૂ.પ લાખ મુડી પેટે જમા કરાવી દીધા હતા તેમ છતાં ફીરોજખાન પઠાણે રૂ.૧પ લાખ લેવાના નિકળતા બાકી હોવાનો હિસાબ કાઢી બે વર્ષથી નજરમોહમદ મેમણ પાસેથી માસિક રૂ.૧પ હજાર લેખે લીધા હતા.
તેમ છતાં ફીરોજખાન પઠાણ દ્વારા અવાર નવાર મોબાઈલ પર ફોન કરી તેમજ ઘરે જઈ ઉપરાંત બજારમાં આવતા જતા વખતે નજરમોહમદ મેમણને ગાળો બોલી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી એટલુ જ નહીં પણ ફીરોજખાન પઠાણે અમદાવાદથી તેના માણસો બોલાવીને મરાવી નાખવાની ધમકી આપી હોવાનો ફરીયાદમાં ઉલ્લેખ કરાયો છે. વ્યાજખોરના ત્રાસથી કંટાળી નજરમોહમદ મેમણ અમદાવાદ રહેવા જતા રહયા હતા.જયારે તેમના પત્નિ અને બાળકો હિંમતનગરમાં રહેતા હતા.જેથી ફીરોજખાન પઠાણે હિંમતનગરમાં રહેતા નજરમોહમદ મેમણની પત્નિ અને બાળકોને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવતી હતી જેથી કંટાળીને નજરમોહમદ મેમણે ફીરોજખાન પઠાણ વિરૂધ્ધ સોમવારે હિંમતનગર બી-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
હિંમતનગર તાલુકાના નાની બેબાર ગામના રહીશે તેમની પડોશમાં આવેલ ખિલોડા ગામના એક રહીશને ત્રણ વર્ષ અગાઉ હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન કરતાં નાની બે બાર ગામના રહીશે પોતાની પાસેનો ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો ત્યારબાદ ખિલોડા ગામના રહીશ વિરૂધ્ધ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો જેની સુનાવણી તાજેતરમાં થતાં ન્યાયાધીશે ખિલોડા ગામના રહીશને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ વળતર પેટે ચુકવવાનો હુકમ કર્યો હતો.
આ અંગે એડવોકેટ જે.પી.નાયકના જણાવાયા મુજબ વર્ષ ર૦ર૩માં નાની બેબાર ગામના સત્યપાલસિંહ કનકસિંહ સિસોદીયાએ ખિલોડા ગામના અમરતભાઈ સબાભાઈ તરારને હાથ ઉછીના પેટે રૂ.ર લાખ આપ્યા હતા. જોકે રકમ આપતી વખતે સત્યપાલસિંહએ અમરતભાઈ તરાર પાસેથી ચેક લીધા હતા ત્યારબાદ વાયદા મુજબ રકમ પરત ન થતાં સત્યપાલસિંહે અમરતભાઈ તરારે આપેલ ચેક બેંકમાં ભર્યો હતો પરંતુ અપુરતા બેલેન્સને લઈને ચેક રીટર્ન થયો હતો.
ત્યારબાદ સત્યપાલસિંહએ એડવોકેટ જે.પી.નાયકની મદદથી હિંમતનગરની કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કર્યો હતો ત્યારબાદ તાજેતરમાં આ કેસની સુનાવણી થતાં હિંમતનગરની કોર્ટના ન્યાયાધીશ પી.બી.બોહરા સમક્ષ ચાલી જતાં ન્યાયાધીશે અમરતભાઈ તરારને કસુરવાર ઠરાવી એક વર્ષની કેદની સજા અને વળતર પેટે ચેકમાં ભરાયેલ રકમ ચુકવી આપવાનો હુકમ કર્યો છે.