Breaking News
અમદાવાદમાં ‘સબ સલામત’ ના દાવા પોકળ: અસામાજિક તત્વોનો બેફામ આતંક, વાહનોમાં તોડફોડ અને હિંસક બનાવોથી જનતામાં ફફડાટ
1 0
Read Time:3 Minute, 37 Second

વટવામાં સગીરને ‘તાલીબાની’ સજા અને નિકોલમાં હથિયારથી હુમલો
અમદાવાદ: ગુજરાતનું આર્થિક પાટનગર ગણાતા અમદાવાદ શહેરમાં પોલીસ પ્રશાસન દ્વારા ગુનાખોરી નિયંત્રણમાં હોવાના મોટા-મોટા દાવા કરવામાં આવે છે. પરંતુ ‘સબ સલામત’ ની ફૂંકાઈ રહેલી આ ગુલબાંગો વચ્ચે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળી રહી છે. શહેરમાં છેલ્લા બે દિવસમાં અસામાજિક તત્વોએ મચાવેલા આતંક, વાહનોમાં તોડફોડ અને મારામારીના બનાવોએ પોલીસના પેટ્રોલિંગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે. શહેર કોટડા, વટવા, નિકોલ અને સૈજપુર જેવા વિસ્તારોમાં લુખ્ખા તત્વોના ત્રાસથી સામાન્ય જનતામાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
શહેર કોટડા વિસ્તારમાં આવેલી રચના સ્કૂલ પાસે રાત્રિના સમયે ૨૦થી વધુ વ્યક્તિઓના ટોળાએ અચાનક હુમલો કરી પાર્ક કરેલા ૬થી વધુ વાહનોમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં પોલીસે ૬ શખ્સોની ધરપકડ કરી છે, પરંતુ લોકોની ચિંતા યથાવત છે. આવી જ રીતે સૈજપુરની ગિરીવૃન્દ સોસાયટીમાં અસામાજિક તત્વોએ બેઝબોલના ડંડા વડે વાહનોના કાચ તોડી આતંક મચાવ્યો હતો. રાણીપ વિસ્તારમાં ડી-માર્ટ પાસે પણ રિક્ષામાં તોડફોડ કરી બે લોકોને માર મારવામાં આવ્યો હોવાની ઘટના બની છે. બહેરામપુરામાં તો જાહેર રોડ પર અપશબ્દો બોલી હંગામો મચાવતા શખ્સોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના આધારે પોલીસે શોધખોળ શરૂ કરી છે.
શહેરના નિકોલ વિસ્તારમાં જૂની અદાવત રાખીને એક યુવકને સમાધાનના બહાને બોલાવી તેના પર તીક્ષ્ણ હથિયારોથી ઘાતકી હુમલો કરવામાં આવ્યો હતો, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જોકે, સૌથી ચોંકાવનારો કિસ્સો વટવા વિસ્તારમાં પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સગીરને તેના જ મિત્રોએ ઝાડ સાથે બાંધીને નિર્દયતાથી માર માર્યો હતો. આ ‘તાલીબાની’ સજાનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી છે અને જુવેનાઈલ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. વીડિયોમાં સગીર પોતાની જાતને બચાવવા આજીજી કરતો અને બૂમો પાડતો જોવા મળે છે, જે માનવતાને શરમાવે તેવી ઘટના છે.
શહેરમાં વધી રહેલા આવા બનાવોને કારણે નાગરિકો હવે રાત્રિના સમયે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ પર જ હોય તેમ દેખાઈ રહ્યું છે. અસામાજિક તત્વોને જાણે કાયદાનો કોઈ ડર રહ્યો નથી. લોકો હવે સવાલ કરી રહ્યા છે કે, શું પોલીસ તંત્ર આ લુખ્ખા તત્વો પર લગામ કસવામાં નિષ્ફળ નીવડ્યું છે? જનતાની સુરક્ષા માટે માત્ર દાવા નહીં પણ કડક કાર્યવાહીની જરૂર છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
ન્યાયિક ક્ષેત્રે ઐતિહાસિક ક્રાંતિ: હવે ‘તારીખ પે તારીખ’ નહીં, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ માટે નક્કી કરી ડેડલાઈન, ૩ મહિનામાં આપવો પડશે ચુકાદો
1 0
Read Time:6 Minute, 2 Second

જામીન અરજીઓ પર ત્વરિત નિર્ણય અને જેલ મુક્તિના કડક નિયમો
ડિજિટલ પારદર્શિતા: ૭ દિવસમાં ચુકાદો ઓનલાઇન કરવો ફરજિયાત
ઝારખંડ હાઈકોર્ટની બેદરકારી બાદ સર્વોચ્ચ અદાલતનું કડક વલણ
નવી દિલ્હી: ભારતીય ન્યાયતંત્રમાં ‘ન્યાયમાં વિલંબ એ ન્યાયનો ઇનકાર છે’ (Justice delayed is justice denied) એ ઉક્તિ ઘણીવાર સાર્થક થતી જોવા મળે છે. વર્ષો સુધી ચાલતા કેસો અને સુનાવણી પૂર્ણ થયા બાદ પણ મહિનાઓ સુધી અટકી રહેલા ચુકાદાઓને કારણે સામાન્ય માનવીનો ન્યાયતંત્ર પરથી ભરોસો ડગવા લાગ્યો હતો. આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય લીધો છે. સર્વોચ્ચ અદાલતે દેશની તમામ હાઈકોર્ટ માટે ચુકાદાઓ જાહેર કરવા અને જામીન અરજીઓના નિકાલ માટે કડક ‘ડેડલાઈન’ (સમયમર્યાદા) નક્કી કરી દીધી છે.
સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હવેથી કોઈપણ હાઈકોર્ટ કોઈ કેસમાં સુનાવણી પૂર્ણ કર્યા બાદ તેનો ફેંસલો (જજમેન્ટ) ૩ મહિનાથી વધુ સમય માટે સુરક્ષિત રાખી શકશે નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ જોયમાલ્યા બાગચીની બેન્ચે આ આદેશ આપતા કહ્યું કે, અદાલતોએ વધુમાં વધુ ૩ મહિનાની અંદર પોતાનો અંતિમ ચુકાદો સંભળાવી દેવો પડશે. જો કોઈ ન્યાયાધીશ નિર્ધારિત ૩ મહિનામાં ચુકાદો આપવામાં નિષ્ફળ રહે છે, તો રજિસ્ટ્રાર જનરલે આ બાબત સંબંધિત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના ધ્યાને લાવવી પડશે. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ વધુમાં વધુ ૨ અઠવાડિયાનો વધારાનો સમય આપી શકશે, અને જો તેમ છતાં પણ નિર્ણય ન આવે, તો તે કેસ તાત્કાલિક અન્ય બેન્ચને ટ્રાન્સફર કરવામાં આવશે.
વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને સર્વોપરી ગણતા સુપ્રીમ કોર્ટે જામીન અરજીઓ બાબતે અત્યંત માનવીય અને કડક વલણ અપનાવ્યું છે. કોર્ટે આદેશ આપ્યો છે કે જામીન સંબંધિત કોઈપણ મામલામાં સુનાવણી પૂર્ણ થયાના બીજા જ દિવસે ચુકાદો જાહેર કરી દેવો જોઈએ. આ ઉપરાંત, જેલ પ્રશાસનને તે જ દિવસે જાણ કરવાની રહેશે જેથી પ્રક્રિયામાં વિલંબ ન થાય.
ખાસ કરીને ‘અંડરટ્રાયલ’ (જેમનો કેસ હજુ ચાલુ છે તેવા) કેદીઓ માટે કોર્ટે રાહત આપતા કહ્યું છે કે, જામીન મળ્યાના તે જ દિવસે અથવા મોડામાં મોડા તેના બીજા દિવસે કેદીને જેલમાંથી મુક્ત કરવાના રહેશે. ટ્રાયલ કોર્ટે આ નિયમોના પાલન અંગે હાઈકોર્ટને સમયાંતરે રિપોર્ટ પણ સોંપવો પડશે, જેથી કોઈ નિર્દોષ વ્યક્તિને એક પણ દિવસ વધારાનો જેલમાં ન વિતાવવો પડે.
ટેકનોલોજીના યુગમાં પારદર્શિતા લાવવા માટે સુપ્રીમ કોર્ટે મહત્વની ગાઈડલાઈન જાહેર કરી છે. હવેથી હાઈકોર્ટે ચુકાદો આપતી વખતે માત્ર તેનો મુખ્ય નિર્ણય (ઓપરેટિવ પાર્ટ) જ જાહેર કરવાનો રહેશે નહીં, પરંતુ તે નિર્ણય પાછળના કાયદાકીય કારણો અને સંપૂર્ણ વિગતો ૭ દિવસની અંદર કોર્ટની સત્તાવાર વેબસાઈટ પર અપલોડ કરવી પડશે. જો ૧૫ દિવસ સુધી કારણો અપલોડ ન થાય તો અરજદાર રજૂઆત કરી શકશે અને જો ૩૦ દિવસ સુધી વિગતો જાહેર ન કરવામાં આવે, તો તે કેસ પાછો ખેંચીને નવી બેન્ચ સમક્ષ સુનાવણી માટે લઈ જવાની છૂટ અરજદારને આપવામાં આવશે.
આ ઐતિહાસિક આદેશ પાછળ ઝારખંડ હાઈકોર્ટની એક ગંભીર બેદરકારી કારણભૂત છે. સુપ્રીમ કોર્ટમાં એવી ફરિયાદ થઈ હતી કે ઝારખંડ હાઈકોર્ટે એક ફોજદારી અપીલ પર અંતિમ ચર્ચાઓ સાંભળ્યા પછી પણ છેલ્લા ૨ થી ૩ વર્ષથી ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો અને કોઈ નિર્ણય લેવાતો નહોતો. આ સાંભળીને આશ્ચર્યચકિત થયેલી સુપ્રીમ કોર્ટે આ મામલાને ગંભીરતાથી લીધો અને તમામ હાઈકોર્ટ પાસે સ્ટેટસ રિપોર્ટ મંગાવ્યો હતો. આ તપાસમાં જાણવા મળ્યું કે અનેક હાઈકોર્ટમાં કેસો સુનાવણી બાદ પણ લાંબા સમય સુધી પેન્ડિંગ રહે છે, જેના પરિણામે આ કડક માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય ભારતીય ન્યાયિક ઇતિહાસમાં એક સીમાચિહ્ન સમાન સાબિત થશે. તેનાથી ન્યાયિક પ્રક્રિયામાં ઝડપ આવશે, જેલોમાં ભીડ ઘટશે અને સામાન્ય નાગરિકોને સમયસર ન્યાય મળવાની આશા જીવંત થશે. દેશની તમામ હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલને આ ગાઈડલાઈન્સ તેમના ચીફ જસ્ટિસ સમક્ષ રજૂ કરવાના આદેશો આપી દેવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
કોમી એકતાની મિસાલ: અમદાવાદના વકીલે ઈદના પર્વે ‘૭૮૬’ નંબરની ૪.૩૦ લાખની ચલણી નોટોનું કર્યું પૂજન
1 0
Read Time:2 Minute, 53 Second

અમદાવાદ: સમગ્ર દેશમાં જ્યારે ઈદના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી, ત્યારે અમદાવાદમાં કોમી એકતા અને શ્રદ્ધાનો એક અનોખો કિસ્સો જોવા મળ્યો હતો. શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા જાણીતા વકીલ પ્રકાશચંદ્ર કે. સોનીએ ઈદના પવિત્ર દિવસે પોતાની પાસે રહેલી ‘૭૮૬’ નંબરની લાખોની કિંમતની ચલણી નોટોનું ભક્તિભાવપૂર્વક પૂજન કરીને સામાજિક સમરસતાનો સુંદર સંદેશ પાઠવ્યો હતો.

નવાવાડજની વિવિધભારતી સોસાયટીમાં રહેતા પ્રકાશચંદ્ર સોનીએ મુસ્લિમ સમાજમાં અત્યંત પવિત્ર અને સૌભાગ્યશાળી મનાતા ‘૭૮૬’ ના અંક પ્રત્યેની પોતાની આસ્થા પ્રગટ કરી હતી. તેઓ છેલ્લા ૧૫ વર્ષથી આ ખાસ નંબર ધરાવતી નોટોનો સંગ્રહ કરી રહ્યા હતા. આ વર્ષે ઈદના અવસરે તેમણે આ ૧૫ વર્ષની મહેનત અને સંગ્રહને પૂજનના માધ્યમથી લોકો સમક્ષ મૂક્યો હતો.

વકીલ પ્રકાશચંદ્ર પાસે ૭૮૬ નંબર ધરાવતી કુલ ૪,૬૨૬ ચલણી નોટોનો દુર્લભ સંગ્રહ છે. જેમાં ૧, ૨, ૫, ૧૦, ૨૦, ૫૦, ૧૦૦, ૨૦૦ અને ૫૦૦ રૂપિયાના દરની તમામ નોટોનો સમાવેશ થાય છે. આ તમામ નોટોની કુલ અંદાજિત કિંમત ૪,૩૦,૦૦૦ (ચાર લાખ ત્રીસ હજાર) રૂપિયા જેટલી થાય છે. ઈદના દિવસે આ તમામ નોટોને શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગોઠવીને તેનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વકીલ સોનીએ જણાવ્યું હતું કે, “૭૮૬ અંક મુસ્લિમ ભાઈઓ માટે બરકત અને પવિત્રતાનું પ્રતીક છે. એક હિન્દુ તરીકે આ પવિત્ર અંક પ્રત્યે માન જાળવીને પૂજન કરવું એ મારા માટે ગર્વની વાત છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં કોમી એકતા, ભાઈચારો અને સર્વધર્મ સમભાવની ભાવના મજબૂત કરવાનો છે.”

સામાન્ય રીતે લોકો ધનતેરસ કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજન કરતા હોય છે, પરંતુ ઈદના દિવસે વકીલ દ્વારા કરવામાં આવેલા આ અનોખા ‘લક્ષ્મી પૂજન’ અને ૭૮૬ નંબર પ્રત્યેના તેમના આકર્ષણે સમગ્ર વિસ્તારમાં ભારે કુતૂહલ અને આકર્ષણ જમાવ્યું હતું. સ્થાનિક લોકો અને સોસાયટીના રહીશોએ વકીલના આ પ્રશંસનીય કાર્ય અને સકારાત્મક અભિગમને મુક્ત કંઠે બિરદાવ્યો હતો.

Happy
Happy
100 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %