ઇડર ખાતે મંગળવારે પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી પહેલ રૂપે હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. હાલના સમયમાં ઘણા લોકો પોતાના ધંધા અને રોજગાર માટે લોન પર આધાર રાખતા થયા છે, પરંતુ કેટલીક વખત ઉંચા વ્યાજે લોન આપતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના વેપારીઓને ભારે નુકસાન થાય છે. જે અંગે જરૂરીયાતમંદોને માર્ગદર્શન અપાયું હતું.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાના વેપારીઓ જેમ કે પાથરણા વાળા, લારી-ગલ્લા ચલાવતા તથા નાના-મોટા ધંધા કરી પરીવાનું ગુજરાન ચલાવતા લોકો સરળતાથી અને કાયદેસર રીતે લોન મેળવી શકે તે માટે આ લોન મેળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવો અને તેમને વ્યાજખોરોના ચંગુલમાંથી બચાવવાનો હતો. આ લોન મેળામાં વિવિધ બેન્કોના મેનેજરો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે હાજર વેપારીઓને લોન સંબંધિત માહિતી આપી અને માર્ગદર્શન પૂરું પાડયું.
કાર્યક્રમનું આયોજન ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇડર પીઆઈ એ.જી.રાઠોડ, પીએસઆઈ વી.આર.ચૌહાણ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું.