માધવ ગઢના ૧૪ ખેડૂતો દ્વારા જમીન વળતર પ્રશ્ને વિવાદ. હિંમતનગર કોર્ટનો આદેશ છતાં ૧૯ વર્ષથી વળતર માટે રાહ જોતા ખેડૂતોએ ફરી કોર્ટનો દરવાજો ખખડાવ્યો.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
તલોદ તાલુકાના માધવગઢ ગામના આશરે ૧૪ ખેડૂતો દ્વારા જમીન સંપાદન મામલે મળવાપાત્ર વળતર માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. આ મામલે વર્ષ ૨૦૦૭માં હિંમતનગરની કોર્ટમાં કેસ નંબર ૪૨/૦૭ થી ૪૬/૦૭ દાખલ કરવામાં આવ્યો હતો. તેમ છતાં ખેડૂતોને મળવાપાત્ર જમીનનું વળતર ન મળતા આ અસરગ્રસ્ત ખેડૂતોએ તાજેતરમાં જિલ્લા પંચાયતમાં આવી વળતર માટે રજૂઆત કરી હતી. જોકે તંત્ર દ્વારા જપ્તીના આદેશ થયા બાદ માધવગઢના ખેડૂતોમાં ભયની લાગણી પ્રસરી છે.
આ અંગેની વિગત એવી છે કે તલોદ તાલુકાના માધવગઢ ગામની સીમમાં જમીન ધરાવતા ૧૪ ખેડૂતોને કપાતમાં જતી જમીનનું વળતર મેળવવા માટે તેમને ૧૯ વર્ષ અગાઉ હિંમતનગરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. જેનો ચુકાદો કોર્ટ દ્વારા ૨૯ જૂન ૨૦૧૭ના રોજ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપતા તત્કાલિન ન્યાયાધીશે ખેડૂતોને અંદાજે રૂ. ૧૦,૫૦,૭૭૯ વળતર તથા વર્ષ ૧૯૮૮થી ૧૫ ટકા વ્યાજ દરે ચુકવણી કરવાનો હુકમ કર્યો હતો. તેમ છતાં, જિલ્લા પંચાયત દ્વારા આ રકમ આજદિન સુધી ચૂકવવામાં આવી નથી તેવો માધવગઢ ગામના ખેડૂતોએ આક્ષેપ કરતા જણાવ્યુ હતુ.
તંત્ર દ્વારા માધવગઢના ૧૪ ખેડૂતોને સમયસર ચુકવણી ન થતાં વ્યાજ સાથે અંદાજે વળતરની રકમ રૂ.૬૮,૫૮,૯૫૯ થાય છે. જેથી વળતર મેળવવા માટે આ ખેડૂતોએ ફરી કોર્ટમાં જરૂરી દસ્તાવેજો રજૂ કર્યા હતા. કોર્ટ દ્વારા આ મામલે કાર્યપાલક ઇજનેર અને જિલ્લા પંચાયતના માર્ગમકાન વિભાગ વિરુદ્ધ જપ્તી વોરંટ બહાર પાડવામાં આવ્યું હતુ. જે સંદર્ભે કોર્ટના બેલીફ તથા વકીલ બી.આર. પટેલ ખેડૂતો સાથે તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીએ પહોંચ્યા હતા. જેથી સંબંધિત અધિકારીઓએ એક અઠવાડિયાનો સમય માગ્યો હતો અને તે સમયગાળામાં ચુકવણી કરવાની ખાતરી આપી હતી તેમજ કોર્ટમાં હાજર રહેવા હૈયાધારણ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ખેડૂતોને વળતર મેળવવા માટે ૨૦૦૭થી ૨૦૨૬ સુધી લાંબો સમય રાહ જોવી પડી છે. શરૂઆતમાં ખેડૂતો દ્વારા પ્રતિ ખેડૂત રૂ. ૧૦ લાખ વળતરની માંગણી કરવામાં આવી હતી. પરંતુ દસ્તાવેજી પુરાવા આધારે કોર્ટ દ્વારા જમીનના પ્રતિ આરે રૂ. ૧૦૦૦ મુજબ તેમજ લાગુ નિયમો અનુસાર વળતર ચુકવવાનો હુકમ કરવામાં આવ્યો હતો. હવે જોવાનું રહ્યું કે જિલ્લા પંચાયત દ્વારા આપવામાં આવેલી સમયમર્યાદામાં ખેડૂતોને તેમનો હકનો વળતર મળે છે કે નહીં. આ સંદર્ભે તલોદના માધવગઢ ગામે અનેક તર્કવિર્તક શરૂ થયા છે.
ખાડીયામાં પાલિકા તથા અન્ય સરકારી યોજનાઓનો લાભ આપવા ગેરકાયદે ધમધમતી હાટડી. પાલિકાના જવાબદાર પદાધિકારીના આર્શિવાદથી ચાલતી ગ્રાહક સુવિધા કેન્દ્ર પર કોની રહેમ નજર, નાગરિકોમાં અનેક ચર્ચાઓ. પાલિકાના પાછળના ભાગે બનાવાયેલ પ્રવેશદ્વારથી કોને ફાયદો?
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર નગરપાલિકામાં ચુંટાયેલા તમામ પદાધિકારીઓની મુદત તાજેતરમાં પૂર્ણ થઈ ગઈ છે તેમ છતાં કેટલાક જવાબદાર પદાધિકારીઓ કમાણીની લ્હાયમાંં કાયદાની છટકબારી શોધીને ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરીને તેમાં નગરપાલિકામાંથી મળતા જન્મ-મરણના દાખલા, વ્હાલી દિકરી યોજના તથા કુંવરબાઈનું મામેરૂ સહિત અન્ય યોજનાઓનો લાભ અપાવવા માટે હિંમતનગરના ખાડીયામાં એક પદાધિકારીના આર્શિવાદથી ગ્રાહક સુવિધા કેન્દ્ર ચાલી રહયું છે જો આવી ખાનગી એજન્સીઓમાંથી જરૂરીયાતમંદોને જરૂરી સગવડ મળે તો નગરપાલિકાની શું જરૂર છે તેવું લોકોમાં ચર્ચાઈ રહયું છે.
આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ હિંમતનગર ખાડીયા વિસ્તારમાં નવીન બનાવાયેલ નગરપાલિકાની પાછળના ભાગે અગમ્ય કારણોસર એક નાનું પ્રવેશદ્વાર બનાવી દેવામાં આવ્યું હતું. તત્કાલિન સમયે એવુ મનાતુ હતું કે પોલોગ્રાઉન્ડ, ખાડીયા, જુના બજાર વિસ્તાર તથા વખારીયાવાડ સહિત અન્ય સ્થળે રહેતા લોકોને નગરપાલિકામાં આવવા માટે ટૂંકો રસ્તો હશે. પરંતુ નગરપાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થાય તે અગાઉ આ વિસ્તારમાં વ્યવસાય કરતાં એક પદાધિકારીએ જાણે કે તંત્ર પોતાના ખિસ્સામાં હોય તેમ ખાડીયા વિસ્તારમાં એક દુકાનમાં ગ્રાહક સુવિધા કેન્દ્ર શરૂ કરાવી દીધુ છે. જોકે તેમાં આ પદાધિકારીની ભુમિકા પરોક્ષ રીતે હોવાનું ચર્ચાઈ રહયું છે તેમ છતાં નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર ન હોય તેવું શહેરીજનો માની રહયા છે. સ્થાનિક પ્રજાનું કહેવું છે કે જો ખાનગી એજન્સી દ્વારા સરકારી કામ માટે જરૂરી દસ્તાવેજો સરળતાથી મળતા હોય તો સરકારી કચેરીઓમાં જવાની જરૂર નથી.
તો બીજી તરફ આ અંગે નગરપાલિકાના સત્તાવાળાઓને ખબર પડતાં તાજેતરમાં તેની તપાસ કરીને અહેવાલ તૈયાર કરી દેવામાં આવ્યો છે જેથી આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી શકયતા નગરપાલિકાના સૂત્રોમાંથી મળી રહી છે. પ્રશ્નએ થાય છે કે સત્તાના નશામાં જો પદાધિકારીઓ કાયદાનું ઉલ્લઘન કરીને પોતાનું ધાર્યુ કરશે તો ભવિષ્યમાં આવા ગ્રાહક સુવિધા કેન્દ્રોના સંચાલકો ગમે તે રીતે પોતાનો આર્થિક ફાયદો ધ્યાનમાં રાખીને કદાચ દસ્તાવેજો સાથે ચેડાં કરે તો નવાઈ નહી. જેથી પક્ષ તથા મતદારોએ વિચારવું રહયું.
હિંમતનગરમાં મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો. જૈન સમાજે શોભાયાત્રા કાઢી, અનેક જૈનોએ દેરાસરમાં જઈ પૂજા કરી.
રિપોર્ટ:- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે મંગળવારે ભગવાન મહાવીર સ્વામીના ૨૨૬૪મા જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાઈ હતી. જે નિમિત્તેે જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને બહેનો જોડાયા હતા. એટલુ જ નહીં પણ પ્રાંતિજ,ઈડર,વડાલી, તલોદ સહિતના અન્ય સ્થળે પણ મહાવીર જયંતિની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું.
હિંમતનગરમાં નિકળેલી આ શોભાયાત્રાનો પ્રારંભ વખારીયાવાડ વિસ્તારમાં આવેલા મહાવીર ભગવાન જૈન દેરાસરથી થઈ હતી. ત્યારબાદ આ યાત્રા ટાવર ચોક અને બગીચા વિસ્તાર સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ મહાવીરનગર જૈન દેરાસર ખાતે સમાપ્ત થઈ હતી. ચૈત્ર સુદ તેરસના પવિત્ર દિવસે ભગવાન મહાવીર સ્વામીનો જન્મ થયો હોવાથી આ દિવસ જૈન સમાજ માટે વિશેષ મહત્વ ધરાવે છે. આ અવસરે શહેરના તમામ જિનાલયોને શણગારવામાં આવ્યા હતા. ઉજવણીના ભાગરૂપે જૈન સમાજના સભ્યો દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે અન્નદાન તેમજ વિવિધ ચીજવસ્તુઓનું વિતરણ કરી અન્ય સેવાકીય કાર્યો કર્યા હતા.
આગીયોલની યુવતીને દહેજ મામલે ત્રાસ અપાતાં છ વિરૂધ્ધ ફરીયાદ.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગર તાલુકાના ગાંભોઈ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આગીયોલ ગામની એક યુવતીના લગ્ન બે વર્ષ અગાઉ સુરત જિલ્લાના નાનીનરોલી ગામના એક પરિવારના યુવાન સાથે કરાયા બાદ ગમે તે કારણસર સાસરીયાઓએ દહેજની માંગણી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે આ યુવતીએ ગુરૂવારે તેમની વિરૂધ્ધ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી.
આ અંગે હાલ આગીયોલ ગામે રહેતા પ્રિયંકાબેન સોલંકીએ નોંધાવેલી ફરીયાદમાં કરેલા આક્ષેપ મુજબ બે વર્ષ અગાઉ તેણીના લગ્ન નાનીનરોલી ગામના એક પરિવારના યુવાન સાથે કરાયા હતા ત્યારબાદ સાસરી પક્ષના સિધ્ધાર્થ રમેશભાઈ રાઠોડ, રમેશ રવાભાઈ રાઠોડ, પાર્થ રમેશભાઈ રાઠોડ, સુરેખાબેન રમેશભાઈ રાઠોડ, હિતેશ જયંતિભાઈ રાઠોડ અને પાયલ રાઠોડ દ્વારા પ્રિયંકાબેનના પતિ સિધ્ધાર્થ રાઠોડને ચઢામણી કરી દહેજની માંગણી કરી અવાર નવાર શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.
જેથી કંટળીને પ્રિયંકાબેન સોલંકીએ પિયરમાં આવી સાસરીમાં અપાતાં ત્રાસ અંગે વાકેફ કર્યા હતા અને આખરે પ્રિયંકા બેને સાસરીયા વિરૂધ્ધ ગુરૂવારે ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં દહેજ ધારાના ભંગ બદલ ફરીયાદ નોંધાવી હતી.
ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સમાં ગુજરાતની ટીમે સિલ્વર મેડલ મેળવ્યો. હિંમતનગરની ટ્વિંકલ હડુલાએ યોગદાન આપ્યું
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
છત્તીસગઢના રાયપુર ખાતે તાજેતરમાં યોજાયેલી ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ ૨૦૨૬માં ગુજરાતની ટીમે ૪ બાય ૧૦૦ મીટર ફ્રીસ્ટાઇલ રિલે સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવી ગુજરાત સહિત સાબરકાંઠા અને હિંમતનગરને ગૌરવ અપાવ્યું છે.
રાયપુર ખાતે યોજાયેલ ફ્રીસ્ટાઈલ રિલે સ્પર્ધામાં મેડા દિશા,મહિમા ચૌહાણ, હડુલા ટ્વિંકલ (ડીએલએસએસ હિંમતનગર) અનેપ્રિયાંશી પટેલનો સમાવેશ થાય છે. ખેલાડીઓએ ઉત્કૃષ્ટ ટીમ વર્ક અને મહેનત દ્વારા આ સફળતા મેળવી છે. ખાસ કરીને હિંમતનગરની જિલ્લા કક્ષાની રમતગમત શાળાની ખેલાડી હડુલા ટ્વિંકલનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. તેમના કોચ હેમલ વર્ધાનીના માર્ગદર્શન હેઠળ ટ્વિંકલે ટીમને સફળતા અપાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. સ્વિમિંગ કોચ હેમલ વર્ધાનીએ જણાવ્યું કે ખેલો ઇન્ડિયા ટ્રાઇબલ ગેમ્સ ૨૬ માર્ચ, ગુરુવારથી રાયપુર, છત્તીસગઢ યોજાઈ હતી જે ૩૦ માર્ચ સુધી ચાલશે. આ સ્પર્ધામાં દેશભરમાંથી વિવિધ રમતોમાં કુલ ૧૪૦૦ ખેલાડીઓએ ભાગ લીધો છે. પ્રથમ દિવસે યોજાયેલી ૪ બાય ૧૦૦ મીટર ફ્રી સ્ટાઇલ રિલે સ્પર્ધામાં ૨૦ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતની ટીમ વિજયી બની અને ચારેય ખેલાડીઓને સિલ્વર મેડલ મળ્યા છે.
સાબરકાંઠામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી. હિંમતનગર, ઈડર, પ્રાંતિજ સહિતના અન્ય સ્થળે સનાતનપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે ગુરૂવારે હિંમતનગર, ઈડર સહિત જિલ્લાના અન્ય સ્થળે સનાતન પ્રેમીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ શોભાયાત્રાનું સફળ આયોજન કરાયું હતું જે અંતર્ગત હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંં આવેલ રામજી મંદિરથી ચાર વાગ્યાના સુમારે નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલી પ્રજાએ જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરી નિર્ધારીત રૂટ પર આગળ વધી હતી ત્યારબાદ આ શોભાયાત્રા ટાવર ચોક થઈ જુના બજાર પોલીસવડા કચેરીથી આગળ નિકળી હતી જે મહેતાપુરામાં આવેલ રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. જયાં મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે યાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી. તેજ પ્રમાણે ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી હતી.
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંથી નિકળેલી આ શોભાયાત્રાના રૂટ પર અનેક લોકોએ સ્વાગત કર્યું હતું. સાથો સાથ યાત્રામાં ભગવાન શ્રી રામ,સીતા અને લક્ષ્મણની પ્રતિકૃતિના ટેબ્લો જોડાયા હતા તેમજ બજરંગદળ, વિહિપના કાર્યકરો તથા સ્થાનિક પ્રજાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ટાવર ચોક આવી પહોંચી હતી. જયાં થોડીક વાર રોકાયા બાદ નિર્ધારીત રૂટ પર એટલે કે જુના બજાર થઈ આગળ પહોંચી હતી. જિલ્લા પોલીસવડા કચેરી ખાતે યાત્રામાં જોડાયેલી ધર્મપ્રેમી જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ હતી.
તો બીજી તરફ રામનવમી નિમિત્તે ઇડરના રામજી મંદિરેથી સવારે ૧૦ વાગ્યે પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. જે શોભાયાત્રા શહેરના મેઇન બજાર,તિરંગા સર્કલ થઈ ધુળેટા દરવાજા ખાતે આવી પહોંચતા રામધૂન ચોક ખાતે વિરાટ ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરાયા બાદ આતશબાજી કરાઈ હતી.એટલુ જ નહીં પણ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની મહાઆરતી ઉતારવામાં આવી હતી.આરતી બાદ શોભાયાત્રા ફરી બજાર માર્ગે થઈ નિજ મંદિરે કોઈપણ વિઘ્ન વિના પરત ફરી હતી.
આ શોભાયાત્રામાં મહંત મહાકાલગીરી દેવ, મહંત મંગલપુરીરામ તેમજ લાલોડાના મહંત સહિત અનેક સાધુ-સંતોએ હાજરી આપી હતી. પોલીસ વિભાગ તરફથી પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પીઆઈ એ.જી.રાઠોડ, પી એસ આઇ વી.આર ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. ઇડર નગર ઉત્સવ સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રદીપભાઈ ખરાદી, વિષ્ણુભાઈ સગર, નિવૃત્ત શિક્ષક વી.કે. પટેલ, કિશનભાઈ સોની, સંજયભાઈ સોની, શૈલેન્દ્રસિંહ તેમજ પ્રકાશભાઈ પરમાર વિપુલભાઈ લોનવાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ઉપરાંત રામનવમી નિમિત્તે પ્રાંતિજ, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં પણ શોભાયાત્રાનું સફળ આયોજન કરાયું હતું. રામનવમી નિમિત્તે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા રર૦૦ પોલીસકર્મીઓની બંદોબસ્ત માટે અગાઉથી જ ગોઠવણી કરી દેવામાં આવી હોવાને કારણે જિલ્લામાં એકંદરે રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી.
પ્રાંતિજમાં અસામાજીક તત્વોનું હિનકૃત્ય. સરદાર પટેલની પ્રતિમાને છાણ લગાવ્યું.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આવેલ નાનીભાગોળ વિસ્તારમાં મુકાયેલ સરદાર પટેલની પ્રતિમા પર અજાણ્યા શખ્સોએ બુધવારે રાત્રે ગમે તે કારણસર છાણ લગાવ્યું હતું જેને લઈને મુખ્યત્વે પાટીદાર સમાજ તથા નાનીભાગોળ વિસ્તારમાં રહેતા લોકોએ આ કૃત્યને વખોડી કાઢયુ છે તો બીજી તરફ સ્થાનિક પોલીસે આવી સ્થળ નિરીક્ષણ કર્યા બાદ આ વિસ્તારના સીસીટીવી ફુટેજની તપાસ શરૂ કરી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં આવેલ પટેલ સમાજવાડી પાસે વર્ષો અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. દરમ્યાન બુધવારે રાત્રે અહીં આવેલા અજાણ્યા શખ્સોએ હિનકૃત્ય કરીને પ્રતિમા પર છાણ ચોપડી દીધુ હતું. ત્યારબાદ ગુરૂવારે સ્થાનિક પટેલ સમાજમાં ખબર પડતાં લોકો જોવા માટે ઉમટી પડયા હતા.તો બીજી તરફ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ખબર પડતાં પોલીસે આવીને સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને આ વિસ્તારમાં લગાવાયેલ સીસીટીવી ફુટેજની ચકાસણી શરૂ કરી હતી.
સાથો સાથ રામનવમીને લઈને નાનાભાગોળ વિસ્તારમાં તંગદીલી ન ફેલાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ વધારી દેવામાં આવ્યો હતો. દરમ્યાન પોલીસનું કહેવું છે કે આવું હિનકૃત્ય કરનારને અમે ઝડપી લેવા માટે પ્રત્યનશીલ છીએ. પટેલ સમાજે પણ આવુ કૃત્ય કરનારને સબક શીખવાડવાની લાગણી વ્યક્તકરી હતી.
ઇડરના બડોલીમાં પૈસા બાબતે થયેલો વિવાદ વકર્યો. લઘુમતી સમાજ ટોળા સ્વરૂપે આવતા દેવીપૂજક પરિવારોમાં ભય ફેલાયો આખરે સમાધાનના પ્રયાસ કરાયા.
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
ઇડર તાલુકાના બડોલી ગામમાં મંગળવારે રાત્રે માત્ર ૪૫૦ રૂપિયાની લેતીદેતી બાબતે થયેલો ઝઘડો મારામારી સુધી પહોંચી ગયો હતો. સામાન્ય નાણાકીય લેતીદેતીના મુદ્દે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા એક પક્ષે ઉશ્કેરાઇ જઇ આવી દેવીપૂજક પરિવારો સાથે મારામારી અને તોડફોડ કર્યાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ બુધવારે ઇડર પોલીસે દરમિયાનગીરી કરી મામલો થાળે પાડયો હતો.
આ અંગેની વિગત એવી છે કે બડોલી ગામે રહેતા કેટલાક દેવીપૂજક પરિવારો પૈકી લઘુમતી સમાજના એક યુવાને દેવીપૂજક પરિવારની એક મહિલા પાસે આવી રૂપિયા ૪૫૦ આપી દેવા માટે કહ્યું હતુ. ત્યારબાદ આ મહિલાએ પૈસા આપવાની તૈયારી બતાવી હતી.તેમ છતાં લઘુમતી કોમના યુવાને અસભ્ય વર્તન કર્યુ હતુ.ત્યારબાદ મામલો ગરમાયો હતો અને કેટલાક લોકોએ આવી દેવીપૂજકોના ઘરોમાં તોડફોડ કરી મારામારી કરી હતી.ત્યારબાદ બુધવારે ઇડર પોલીસે મામલાની ગંભીરતા સમજીને બડોલી ગામે જઇ બન્ને પક્ષો વચ્ચે દરમિયાનગીરી કરીને સમાધાન કરાવવા માટે સમજાવટ કરી હતી.
તેમ છતાં સામાન્ય બાબતે થયેલી આ બોલાચાલી અને મારામારીને લીધે એક મહિલાને ઇજા થઇ હતી.જેથી તેણીને સારવાર માટે ઇડર સિવિલમાં લવાયા હતા.જયાંથી વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. તો બીજી તરફ બન્ને સમાજના અગ્રણીઓએ બેઠક કરી સમાધાન કરાવી દેવા માટે બન્ને પક્ષો વચ્ચે વાતચીત કરવામાં આવી હતી. જેથી કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાઇ ન હતી.
સાબરકાંઠા આજે જિલ્લો રામમય બનશે. હિંમતનગર, ઈડર, વડાલી, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, પોશીના, વિજયનગર અને તલોદમાં વિહીપ દ્વારા શોભાયાત્રા નિકળશે.*
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
હિંમતનગરમાં શોભાયાત્રા પૂર્વે રામજી મંદિરને શણગારાયું. ઈડરમાં રામદ્વારાથી નિકળનારી યાત્રાની તૈયારીઓ પૂર્ણ કરાઈ. સુલેહશાંતિ માટે રર૦૦થી વધુ પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો
કુટુંબ પ્રબોધન અને સામાજીક સમરસતાના હેતુ સાથે ગુરૂવારે સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર સહિત જિલ્લાના અન્ય સ્થળે ગુરૂવારે રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ આયોજન કરાયું છે. જે અંતર્ગત ગુરૂવારે હિંમતનગર સહિત ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર, પોશીના અને ખેડબ્રહ્મામાં વાજતે ગાજતે શોભાયાત્રા નિકળશે. શોભાયાત્રા દરમ્યાન જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રર૦૦થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓને બંદોબસ્તની જવાબદારી સોંપાઈ છે.
આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના ઉત્તર ગુજરાતના પ્રાંત મંત્રી નલીન પટેલના જણાવાયા મુજબ ગુરૂવારે હિંમતનગરમાંથી નિકળનારી શોભાયાત્રા છાપરીયા વિસ્તારમાં આવેલ રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે તે પૂર્વ બુધવારે છાપરીયામાં આવેલ રામજી મંદિરને શણગારવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના વિવિધ માર્ગો પર થઈને મહેતાપુરામાં આવેલ રામજી મંદિરમાં સમાપ્ત થશે. જયાં હનુમાન ચાલીસા અને સમૂહઆરતી યોજાશે. વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. તેજ પ્રમાણે ન્યાય મંદિર વિસ્તારમાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરાયું છે.
વિશ્વ હિંદુ પરિષદ, બજરંગદળ, માતૃ શક્તિ અને દુર્ગાવાહિની, હિંમતનગર દ્વારા આયોજિત તથા હિંદુ સમાજ પ્રેરિત આ શોભાયાત્રા ગુરુવારે બપોરે ૩ઃ૩૦ કલાકે છાપરીયા રામજી મંદિરેથી પ્રસ્થાન કરશે.ત્યારબાદ શોભાયાત્રામાં જોડાયેલા સનાતન પ્રેમીઓ વાજતે ગાજતે જોડાઈને જય શ્રી રામના નારા સાથે આગળ વધશે. તેજ પ્રમાણે ઈડરના રામદ્વારા ખાતેથી સવારે ૯ વાગે નિકળનારી આ શોભાયાત્રા બસ સ્ટેન્ડ થઈ શહેરના વિવિધ વિસ્તારોમાં પરિભ્રમણ કરશે. સાથો સાથ પ્રાંતિજમાં યોજાનાર રામનવમી નિમિત્તે આ શોભાયાત્રા નાનીભાગોળથી પ્રસ્થાન કરશે જેમાં લગભગ ૮ર ગામોની ભજન મંડળીઓ જોડાશે.
આ ઉપરાંત ખેડબ્રહ્મામાં સાંજે ૪ કલાકે નિકળનારી શોભાયાત્રા અંબિકા માતાજી મંદિરેથી પ્રસ્થાન કરશે, પોશીનામાં સવારે ૧૦ વાગે નિકળનારી યાત્રા લહેરીપુરા જનસેવાની સામેથી નિકળશે, વિજયનગરમાં બપોરે બે વાગે રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે.દંતોડમાં સવારે ૮ વાગે પંચમુખી હનુમાનજી મંદિરથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. જિલ્લામાં ગુરૂવારે યોજાનાર શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસવડા, ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, કોન્સ્ટે બલ તથા એસઆરપી સહિત પોલીસની વિવિધ પાંખમાં ફરજ બજાવતા કર્મચારીઓ બંદોબસ્તમાં જોડાશે.
-
(પોલીસ તંત્ર દ્વારા કેટલો બંદોબસ્ત ગોઠવાયો)
રામનવમી નિમિત્તે સુલેહશાંતિ જળવાઈ રહે તે આશયથી ૦૧ એસપી, ૦૪ ડીવાયએસપી, રર પીઆઈ, ૩પ પીએસઆઈ, ૮૦૦ પોલીસ કોન્સ્ટેબલ, ૮૦૦ હોમગાર્ડ, ૬૦૦ જીઆરડી જવાનો ફરજ બજાવશે એમ પોલીસ સૂત્રોમાંથી જણાવાયું છે સાથો સાથ એસઆરપીની એક કંપની પણ જોડાશે.
-
(હિંમતનગરમાંથી નિકળનાર શોભાયાત્રાનો સુચિત રૂટ)
ગુરૂવારે હિંમતનગરના છાપરીયા રામજી મંદિરથી નિકળનારી આ શોભાયાત્રા જૂની જિલ્લા પંચાયત રેલવે ફાટક થઈને ટાવર ચોક પહોંચશે. ત્યાંથી તે નવા બજાર, ગાંધીરોડ થઈને ઇડર સ્ટેટ હાઈવે પર એસપી કચેરી, ન્યાય મંદિર અને મહેતાપુરા ઢાળ પસાર કરીને મહેતાપુરા રામજી મંદિરે પહોંચશે. મહેતાપુરા રામજી મંદિરે સાંજે ૭ કલાકે સમૂહ હનુમાન ચાલીસા અને સમૂહ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.
-
(શોભાયાત્રાના રૂટ શણગારાયા)

