સાબરકાંઠામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી. હિંમતનગર, ઈડર, પ્રાંતિજ સહિતના અન્ય સ્થળે સનાતનપ્રેમીઓ ઉત્સાહભેર જોડાયા.
Views: 36
0 0

Read Time:4 Minute, 42 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની નવમી તિથિએ ભગવાન શ્રીરામના જન્મોત્સવ તરીકે ઉજવાતી રામનવમી નિમિત્તે ગુરૂવારે હિંમતનગર, ઈડર સહિત જિલ્લાના અન્ય સ્થળે સનાતન પ્રેમીઓ તથા વિશ્વ હિન્દુ પરિષદના નેજા હેઠળ શોભાયાત્રાનું સફળ આયોજન કરાયું હતું જે અંતર્ગત હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંં આવેલ રામજી મંદિરથી ચાર વાગ્યાના સુમારે નિકળેલી શોભાયાત્રામાં જોડાયેલી પ્રજાએ જય શ્રી રામના નારા સાથે પ્રસ્થાન કરી નિર્ધારીત રૂટ પર આગળ વધી હતી ત્યારબાદ આ શોભાયાત્રા ટાવર ચોક થઈ જુના બજાર પોલીસવડા કચેરીથી આગળ નિકળી હતી જે મહેતાપુરામાં આવેલ રામજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી. જયાં મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરાયું હતું. શોભાયાત્રા દરમ્યાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવાને કારણે યાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી. તેજ પ્રમાણે ઈડર, પ્રાંતિજ, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર અને પોશીનામાં પણ રામનવમી નિમિત્તે શોભાયાત્રા નિકળી હતી.

હિંમતનગરના છાપરીયા વિસ્તારમાંથી નિકળેલી આ શોભાયાત્રાના રૂટ પર અનેક લોકોએ સ્વાગત કર્યું હતું. સાથો સાથ યાત્રામાં ભગવાન શ્રી રામ,સીતા અને લક્ષ્મણની પ્રતિકૃતિના ટેબ્લો જોડાયા હતા તેમજ બજરંગદળ, વિહિપના કાર્યકરો તથા સ્થાનિક પ્રજાની ઉપસ્થિતિમાં શોભાયાત્રા ટાવર ચોક આવી પહોંચી હતી. જયાં થોડીક વાર રોકાયા બાદ નિર્ધારીત રૂટ પર એટલે કે જુના બજાર થઈ આગળ પહોંચી હતી. જિલ્લા પોલીસવડા કચેરી ખાતે યાત્રામાં જોડાયેલી ધર્મપ્રેમી જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ હતી.

તો બીજી તરફ રામનવમી નિમિત્તે ઇડરના રામજી મંદિરેથી સવારે ૧૦ વાગ્યે પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. જે શોભાયાત્રા શહેરના મેઇન બજાર,તિરંગા સર્કલ થઈ ધુળેટા દરવાજા ખાતે આવી પહોંચતા રામધૂન ચોક ખાતે વિરાટ ભગવો ધ્વજ પ્રસ્થાપિત કરાયા બાદ આતશબાજી કરાઈ હતી.એટલુ જ નહીં પણ સાધુ-સંતોની ઉપસ્થિતિમાં ભગવાન શ્રીરામની મહાઆરતી ઉતારવામાં આવી હતી.આરતી બાદ શોભાયાત્રા ફરી બજાર માર્ગે થઈ નિજ મંદિરે કોઈપણ વિઘ્ન વિના પરત ફરી હતી.

આ શોભાયાત્રામાં મહંત મહાકાલગીરી દેવ, મહંત મંગલપુરીરામ તેમજ લાલોડાના મહંત સહિત અનેક સાધુ-સંતોએ હાજરી આપી હતી. પોલીસ વિભાગ તરફથી પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં ડીવાયએસપી સ્મિત ગોહિલ અને પીઆઈ એ.જી.રાઠોડ, પી એસ આઇ વી.આર ચૌહાણ સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો. ઇડર નગર ઉત્સવ સમિતિ તેમજ વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરો પણ જોડાયા હતા. શોભાયાત્રામાં પ્રદીપભાઈ ખરાદી, વિષ્ણુભાઈ સગર, નિવૃત્ત શિક્ષક વી.કે. પટેલ, કિશનભાઈ સોની, સંજયભાઈ સોની, શૈલેન્દ્રસિંહ તેમજ પ્રકાશભાઈ પરમાર વિપુલભાઈ લોનવાલા સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ઉપરાંત રામનવમી નિમિત્તે પ્રાંતિજ, તલોદ, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગરમાં પણ શોભાયાત્રાનું સફળ આયોજન કરાયું હતું. રામનવમી નિમિત્તે સમગ્ર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા રર૦૦ પોલીસકર્મીઓની બંદોબસ્ત માટે અગાઉથી જ ગોઠવણી કરી દેવામાં આવી હોવાને કારણે જિલ્લામાં એકંદરે રામનવમી નિમિત્તે નિકળેલી શોભાયાત્રા સુખરૂપ સંપન્ન થઈ હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %