ઈડર-વલાસણા રોડનું નવીનિકરણ કરવા પૂર્વે વૃક્ષો કાપી નંખાયા. પર્યાવરણની પરવા ન કરાતી હોવાની સ્થાનિકોમાં લાગણી.
Views: 29
0
0
Read Time:2 Minute, 51 Second
રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર
ઇડર-વલાસણા હાઇવે પર ચાલી રહેલા રોડ નવીનીકરણના કામ દરમિયાન નડતરરૂપ અનેક વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. વલાસણા-ઇડર રોડ ઉપર આવેલ દેશોતર, ઉમેદગઢ અને મણિયોર રોડ વિસ્તારોમાં વર્ષો જૂના વડલા, બાવળ અને ગુલમોહર જેવા વૃક્ષોને દૂર કરવામાં આવી રહ્યા છે. જેથી વિસ્તારોમાં પહેલાંથી જ હરિયાળી માટે ઓળખાતા માર્ગ પર હવે વૃક્ષવિહીન બની જશે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વલાસણાથી ઇડર સુધીનો માર્ગ અગાઉ ઘનઘોર છાયા આપતા અનેક વૃક્ષોથી ઢંકાયેલો રહેતો હતો, જેના કારણે ઉનાળાની ગરમીમાં મુસાફરો, પશુઓ અને પક્ષીઓ માટે છાંયડાની કુદરતી સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ અત્યારે રોડનું વિસ્તરણ અને નવીનીકરણના ભાગરૂપે રોડ પરથી વર્ષો પુરાણા વૃક્ષો કાપી નાખવામાં આવી રહયા છે. જેથી સમગ્ર રોડ ઝાડ વિનાનો બની રહયો છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે વિકાસ માટે રોડનું નવીનીકરણ જરૂરી છે, પરંતુ તેના બદલામાં પર્યાવરણને ભારે નુકસાન પહોંચે તે યોગ્ય નથી. મોટા પાયે વૃક્ષોના નિકંદનથી તાપમાનમાં વધારો, ધૂળનું પ્રદૂષણ વધશે. જીવજંતુઓ તથા પક્ષીઓના કુદરતી નિવાસસ્થાનોનું નામોનિશાન મટી જશે. ખાસ કરીને ગામડાં વિસ્તારમાં પશુઓ માટે છાયાનું અભાવ ગંભીર સમસ્યા બની શકે છે.
સ્થાનિક લોકો અને સામાજિક આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે રોડના કામ સાથે સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ ધ્યાનમાં લેવામાં આવે. કાપવામાં આવેલા વૃક્ષોની સામે નવા વૃક્ષો તૈયાર કરવાની યોજના તરત જ બનાવીને અમલમાં મુકવાની જરૂર છે. હાલમાં ઇડર-વલાસણા રોડ પર વિકાસના કામો જોરશોરથી ચાલી રહ્યા છે, પરંતુ સાથે સાથે પર્યાવરણનું સંતુલન જાળવવું પણ એટલું જ જરૂરી બની ગયું છે. વિકાસ અને પ્રકૃતિ વચ્ચે સંતુલન જાળવવા માટે જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય આયોજન અને પગલાં લેવાય તે સમયની માંગ બની છે. મળતી માહિતી મુજબ રોજબરોજ ત્રણથી વધુ વૃક્ષો કાપીને મજુરોની મદદથી લીલા લાકડા દુર કરાઈ રહયા છે.