સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના બડોલી ગામે રહેતી એક સગીરાને ચાર વર્ષ અગાઉ ગામના જ એક શખ્સે લલચાવી ફોસલાવી વાલીપણામાંથી અપહરણ કરી ગયા બાદ આ સગીરાને કચ્છ જિલ્લામાં આવેલી એક સ્થળે ભાડાના મકાનમાં રાખી સગીરાની મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યાની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી. જેની તપાસ પૂર્ણ થયા બાદ ઇડર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઇ હતી. જેનો અંતિમ ચુકાદો શુક્રવારે આવી જતાં ન્યાયાધીશે દુષ્કર્મ કરનાર બડોલીના રહીશને વિવિધ કલમોને આધીન રહી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને વિક્ટીમ કોમ્પનશેસન અન્વયે વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.
આ અંગે ઇડરના સરકારી વકીલના જણાવ્યા મુજબ ગત તા.૨૬-૨-૨૦૨૪ના રોજ બડોલીના ચામુંડાનગરમાં રહેતા એક પરિવારની સગીરાને ગામના જ મનોજ ઉર્ફે મનુભાઇ ગોવિંદભાઇ સુરતી (ઠાકોર) વાલીપણામાંથી લલચાવી ફોસલાવી અપહરણ કરી લઇ ગયો હતો. ત્યારબાદ આ સગીરાને કચ્છના ભચાઉ તાલુકાના સામખ્યારી ગામે લઇ જઇ ભાડાના મકાનમાં રહેતો હતો. જયાં મનોજ સુરતીએ સગીરાની મરજી વિરૂધ્ધ વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. જે અંગેની ફરિયાદ તત્કાલિન સમયે ઇડર પોલીસ સ્ટેશનમાં નોંધાવાઇ હતી.
ત્યારબાદ પોલીસે સમગ્ર ગુનાની તપાસ કરીને ચાર્જશીટ ઇડર કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટના ન્યાયાધીશે સુનાવણી દરમિયાન રજૂ કરાયેલા આધારપુરાવાઓને ગ્રાહ્ય રાખી દુષ્કર્મ કરનાર મનોજ સુરતીને કાયદાની વિવિધ કલમોને આધારે તકસીરવાન ઠરાવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. તેમજ ભોગ બનનાર સગીરાને રૂપિયા ૩૫ હજાર વળતર તથા વિક્ટીમ કોમ્પનસેશન અન્વયે ભોગ બનનાર સગીરાને ચુકવી આપવા માટે હુકમમાં નોંધ કરી છે.