ઇડરમાં પોલીસ તંત્રની અનોખી પહેલ. નાના વેપારીઓને મદદરૂપ થવા લોન મેળો યોજાયો.
0 0
Read Time:1 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર ખાતે મંગળવારે પોલીસ તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ અને લોકહિતકારી પહેલ રૂપે હાઈસ્કૂલના સેન્ટ્રલ હોલમાં લોન મેળાનું આયોજન કરાયું હતું. હાલના સમયમાં ઘણા લોકો પોતાના ધંધા અને રોજગાર માટે લોન પર આધાર રાખતા થયા છે, પરંતુ કેટલીક વખત ઉંચા વ્યાજે લોન આપતા વ્યાજખોરોના ચક્કરમાં ફસાઈ જતા હોય છે, જેના કારણે નાના વેપારીઓને ભારે નુકસાન થાય છે. જે અંગે જરૂરીયાતમંદોને માર્ગદર્શન અપાયું હતું. 

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નાના વેપારીઓ જેમ કે પાથરણા વાળા, લારી-ગલ્લા ચલાવતા તથા નાના-મોટા ધંધા કરી પરીવાનું ગુજરાન ચલાવતા લોકો સરળતાથી અને કાયદેસર રીતે લોન મેળવી શકે તે માટે આ લોન મેળાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ લોકોને યોગ્ય માર્ગદર્શન આપવો અને તેમને વ્યાજખોરોના ચંગુલમાંથી બચાવવાનો હતો. આ લોન મેળામાં વિવિધ બેન્કોના મેનેજરો તથા પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા, જેમણે હાજર વેપારીઓને લોન સંબંધિત માહિતી આપી અને માર્ગદર્શન પૂરું પાડયું.

કાર્યક્રમનું આયોજન ઇડર ડીવાયએસપી સ્મિત ગોહિલની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. ઉપરાંત ઇડર પીઆઈ એ.જી.રાઠોડ, પીએસઆઈ વી.આર.ચૌહાણ દ્વારા લોન મેળાનું આયોજન કરાયું હતું. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
સાબરકાંઠામાં ૯ દિવસના બાળકની તસ્કરી. બે અઠવાડિયા અગાઉ બાળક ને અમદાવાદમાં વેચી દીધાનું ખુલ્યું. સાબરકાંઠાના સરહદી વિસ્તારમાં ચાલતા કૌભાંડને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે શોધી કાઢયું.
0 0
Read Time:4 Minute, 25 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર 

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળક વાંચ્છુ પરિવારો પાસેથી લાખો રૂપિયા લઈને તેમને નાના બાળકો વેચી રહયા છે ત્યારે થોડાક મહિના અગાઉ હિંમતનગરના આરટીઓ નજીકથી એક પરિવારના સુઈ રહેલા બાળકને અજાણ્યા શખ્સોએ ચોરી કરી તેને વેચી દેવાની પેરવી કરી હતી પરંતુ પરિવાર અને સાબરકાંઠા પોલીસની મદદથી આ બાળકને તેના મુળ માતા-પિતાને સુપ્રત કર્યું હતું દરમ્યાન વધુ એક વખત સાબરકાંઠાના અંતરિયાળ ખેડબ્રહ્મા પંથકમાં રહેતા એક જાણકારે ૧પ દિવસ અગાઉ નવ દિવસની બાળકને ઉપાડી જઈ અમદવાદમાં રૂ.ર લાખમાં વેચી દીધુ હોવાની ઘટના પ્રકાશમાં આવ્યા બાદ રવિવારે બાળ તસ્કરીમાં સંડોવાયેલા પાંચ જણાને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે માનવ તસ્કરીનો ગુનો ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં નોંધાવી આ પાંચેયને ઝડપી લઈ વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. 

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ તથા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમના પી.આઈ એચ.જે પટેલ ના જણાવાયા મુજબ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરૂધ્ધ માનવ તસ્કરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેની વિગત એવી છે કે બે અઠવાડિયા અગાઉ ખેડબ્રહ્મા તાલુકાના પોણાઈ ગામનો માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી નવજાત બાળકોની તસ્કરીમાં સંડોવાયેલો છે. જે બાતમીના આધારે માલજીને ખેડબ્રહ્માના મટોડા ગામથી ઝડપી પાડવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન માલજીએ કબૂલ્યું કે તેણે લગભગ પંદર દિવસ પહેલા મેડી ગામના એક પરિવારના નવજાત બાળકને અમદાવાદના એક ઈસમને રૂ.૨ લાખમાં વેચી દીધુ હતું. પ્રાથમિક તપાસમાં વિગતમાં તથ્ય જણાતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

ત્યારબાદ પોલીસે માનવ તસ્કરીના ગુનોમાં તરત જ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ ૨૦૨૩ની કલમ ૧૪૩(૪), ૬૧(૨)(છ), ૫૪ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સાબરકાંઠા એ.એચ.ટી.યુ. ટીમને બાળ તસ્કરીના ભેદને ઉકેલવામાં સફળતા મળી છે.પકડાયેલા પાંચેય પાસેથી વધુ વિગતો ઓકાવવા માટે પોલીસે તેમના રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

જીગ્નેશ સોની હિંમતનગર 

  • (કોની વિરૂધ્ધ ફરીયાદ નોંધાઈ)

-માલજી ઉર્ફે માલિયો ફજુભાઈ ડાભી (રહે. પોણાઈ, તા. ખેડબ્રહ્મા, જિ. સાબરકાંઠા)

-સુવન ઉર્ફે સોવમ નાનજીભાઇ ડાભી (રહે. દિગ્ધલી ઉપલુ ફળિયુ, તા.ખેડબ્રહ્મા)

-દેવજી ઉર્ફે દેવાભાઈ ગલાભાઈ પારધી (રહે. પારધીફળો, મામરે, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન)

-લક્ષ્મણભાઈ અનાભાઈ ડાભી (રહે. ડાભી ફળો, મેડી ગામ, તા. કોટડા છાવણી, જિ. ઉદેપુર, રાજસ્થાન)

-પ્રમોદભાઈ રાજારામ રાજવંશી (રહે. સીટી ગોલ્ડ મોટેરા ઇન્દ્રનગર સોસાયટી અમદાવાદ)

મોટેરાની સોસાયટીમાં રહેતો શખ્સ એજન્ટ હતો

નાના બાળકોને જરૂરીયાતમંદ પરિવારોને આપવા માટે અમદાવાદના મોટેરાની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતા પ્રમોદ રાજારામ રાજવંશી મુખ્ય એજન્ટ તરીકે કામ કરતો હતો અને તે અમદાવાદમાં બાળકની જરૂર હોય તેવા પરિવારોનો સંપર્ક કરી કિંમત નક્કી કરતો હતો. તેણે અગાઉ રાજસ્થાનના બે શખ્સો પાસે નવજાત બાળકોની શોધ ચલાવી બાળકોને વેચી દેવાની પેરવી કરતો હતો.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
આંગણવાડી કર્મચારીઓના પ્રશ્નો અંગે હિંમતનગરમાં દેખાવો કરાયા. હાઈકોર્ટના ચુકાદાનો અમલ નહીં કરાય તો વિધાનસભાને ઘેરાવો કરવાની ચીમકી.
0 0
Read Time:2 Minute, 15 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

કેન્દ્ર સરકારે ૨૦૧૮ પછી આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓના વેતનમાં આઠ વર્ષ પછી પણ કોઈ વધારો કર્યો નથી જેથી આંગણવાડી કાર્યકરોના પરિવારો આર્થિક મુશ્કેલી ભોગવી રહયા છે ત્યારે શુક્રવારે હિંમતનગરમાં ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા અનેક કાર્યક્રમો યોજીને આંદોલનો કરી સરકારને ન્યાય આપવા માટે ગુહાર લગાવી છે ત્યારે તાજેતરમાં આ મુદ્દે સંગઠનના અગ્રણીઓએ મુખ્યમંત્રી સાથે વાટાઘાટો કરીને સત્વરે માંગણીઓ ઉકેલવા માટે અપીલ કરી હતી.

આ અંગે સાબરકાંઠા એકમના અગ્રણી દિનેશ પરમાર, મિનાબેન પટેલ તથા મિનાબેન પઢીયાર સહિત અન્યોના જણાવાયા મુજબ સાબરકાંઠા સહિત ગુજરાતમાં આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતી મહિલાઓની પડતર માંગણીઓનો ઉકેલ લાવવા મુખ્યમંત્રીએ હૈયાધારણ આપી હતી. છતાં એક વર્ષ બાદ પણ પ્રશ્નોનો ઉકેલ આવ્યો નથી. અગાઉ આ મામલે અમદાવાદમાં રેલીઓ યોજવામાં આવી હતી.

એટલુ જ નહીં પણ રાજય સરકારે તથા કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં આંગણવાડી કાર્યકરોના વેતન વધારા માટે કોઈ જોગવાઈ કરી ન હોવાનો આક્ષેપ કરાયો છે. તો બીજી તરફ આ સંજોગોમાં ઓછા વેતનમાં ઓફ લાઈન અને અનેક નવી એપ્લિકેશનના કામ કરતી બહેનોની ધીરજ ખુટી છે. દરમ્યાન તાજેતરમાં આંગણવાડી કાર્યકરોએ ત્રણ દિવસ રજા મૂકી કામથી અળગા રહયા હતા. તથા શુક્રવારે હિંમતનગરની જિલ્લા પંચાયત કચેરીમાં ધરણા કર્યા હતા. આંગણવાડી કર્મચારીની માંગણી છે કે જો હાઈકોર્ટના ચુકાદા મુજબ વેતન વધારો આપવામાં નહીં આવે તો આગામી સમયમાં વિધાનસભાનો ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગર જનસેવા કેન્દ્રમાં પાલિકા અને મામલતદારના સિક્કા અને સહીનો ઉપયોગ કરનાર બે પકડાયા.એલસીબીએ બંને શખ્સો પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે કર્યો.
0 0
Read Time:2 Minute, 51 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર જનસેવા કેન્દ્રમાં કામ કરતા બ્રહ્માણીનગર અને બેરણા રોડ પર આવેલ સોસાયટીમાં બે જણાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકા અને મામલતદાર કચેરીના ખોટા સહી સિક્કા બનાવતા હોવાની માહિતીના આધારે સાબરકાંઠા એલસીબીએ ગુપ્ત તપાસ કરી આ બંને જણાને ઝડપી લઈ તેમની પાસેથી અંદાજે રૂા. ૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લઈને શુક્રવારે તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરતાં કેટલા સમયથી આ શખ્સો પાલિકા અને મામલતદાર કચેરીના સિક્કા અને સહીનો દુરુપયોગ કરતાં હતા, અને કયા કયા ડોક્યુમેન્ટમાં તેઓએ ઉપયોગ કર્યો છે તેમજ આ કામગીરીમાં અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ ?તે તમામ હકીકતો બહાર આવવાની સંભાવના છે. 

આ અંંગે જિલ્લા પોલીસ વડા ડો.પાર્થરાજસિંહ ગોહીલ,એલસીબી પીઆઈ ડી.સી.સાકરીયા તથા પી એસ આઈ એસ. જે ચાવડાના જણાવ્યા મુજબ ગુરુવારે તેમને એવી માહિતી મળી હતી કે મહેતાપુરાના બ્રહ્માણીનગરમાં આવેલ વિષ્ણુ સોસાયટીના મકાન નંબર રરમાં રહેતો કિશોર કનૈયાલાલ પ્રજાપતિ છેલ્લા કેટલાક સમયથી જનસેવા કેન્દ્રમાં ઓપરેટર તરીકે નોકરી કરતાં ચંદ્રકેતુ પ્રજાપતિને સાથે રાખી આ બંને જણા કેટલાક લોકોના આધારકાર્ડના દસ્તાવેજોના અભાવે અપડેટ ના થયા હોઈ તેમને હિંમતનગર નગરપાલિકા તથા મામલતદાર કચેરીના ખોટા સિક્કા બનાવી આપતા હતા. 

જે આધારે એલસીબીના સ્ટાફે ટેકનીકલ અને હ્મુમન સોર્સથી મળેલી બાતમીના આધારે આ બંને જણાને ઝડપી લીધા હતા અને તપાસ કર્યા બાદ આ બંને જણા પાસેથી ઈલેકટ્રોનીક સંશાધનો તેમજ કેટલાક દસ્તાવેજો અને સિક્કા મળી અંદાજે રૂા.૧.૦પ લાખનો મુદમાલ કબ્જે લેવાયા બાદ બંને વિરુધ્ધ બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. દરમ્યાન ડીવાયએસપી એ.કે.પટેલે આ મામલે શુક્રવારે જણાવ્યું હતું કે એલસીબી દ્વારા કેટલીક જરૂરી માહિતી મેળવવા માટે રીમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારબાદ પુછપરછમાં જે નવી વિગતો બહાર આવશે તેની તપાસ કરાશે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ પર્વ ઉજવાયું. શહેરમાં ઝૂલેલાલની શોભાયાત્રા નીકળી, ઢોલ-ડીજેના તાલ સાથે સમાજ જોડાયો.
0 0
Read Time:1 Minute, 40 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર શહેરમાં વસતા સિંધી સમાજ દ્વારા શુક્રવારે તેમના ઈષ્ટદેવ ભગવાન ઝૂલેલાલનો જન્મોત્સવ ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શહેરમાં ઢોલ-ડીજેના તાલ સાથે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલના પ્રતિક રૂપે બનાવાયેલ વિવિધ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ શોભાયાત્રા શહેરના વિવિધ માર્ગો પર થઈને પસાર થઈ હતી.

હિંમતનગરમાં ચેટીચાંદ પર્વની ઉજવણી અંતર્ગત શુક્રવારે સવારે સિંધી સમાજવાડી ખાતે ભગવાન ઝૂલેલાલનો અભિષેક અને ધ્વજારોહણ કરાયું હતું. મહાઆરતી બાદ રથ સાથે શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું.આ શોભાયાત્રામાં ભગવાન ઝૂલેલાલની સાથે હનુમાનજી અને ભગવાન શ્રીરામની વિશાળ પ્રતિકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. સિંધી સમાજવાડીથી નિકળેલ આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ હતી.તેમાં મહાવીરનગર પંચદેવ મંદિરથી અહિંસા સર્કલ,નમસ્તે સર્કલથી આંબાવાડી,જિલ્લા પંચાયત રેલવે ફાટકથી ટાવર ચોક અને પાંચબત્તી વિસ્તારનો સમાવેશ થાય છે. શોભાયાત્રાનું સમાપન ભાટવાસમાં આવેલા ગુરુદ્વારા ખાતે થયું હતું.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
વ્યાજખોરોના ત્રાસથી છુટવા માટે પીડીતો ભયમુક્ત બની ફરીયાદ કરે. જિલ્લા પોલીસવડાએ ૧૪ પોલીસ સ્ટેશનોના સંપર્ક નંબર જાહેર કર્યા.
0 0
Read Time:2 Minute, 37 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

રાજયના ગૃહ વિભાગ દ્વારા મની-લોન્ડરીંગ ડ્રાઈવની ઝુંબેશ શરૂ કરીને વ્યાજખોરોના ત્રાસથી પીડાતા લોકોને ભયમુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરો અંગેની માહિતી રજુ કરી ફરીયાદ નોંધાવવા માટે જિલ્લા પોલીસવડાએ અપીલ કરી છે.

આ અંગે જિલ્લા પોલીસવડા ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલના જણાવાયા મુજબ ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં રાજયવ્યાપી મની-લોન્ડરિંગ ડ્રાઈવ શરૂ કરવાનો નિર્ણય લઈને તેનો અમલ શરૂ કર્યો છે ત્યારે સાબરકાંઠા જિલ્લામાં રહેતા જરૂરીયાતમંદોએ વ્યાજખોરો પાસેથી લીધેલી રકમ પરત કરી હોવા છતાં ખોટા હિસાબો અને તગડુ વ્યાજ વસુલવા માટે વ્યાજખોરોના માણસો અનેક લોકોને ધાક-ધમકી આપી પરિવારને જીવવું હરામ કરી દે છે ત્યારે ભોગ બનનાર પીડીતોએ ભય મુક્ત બની સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જરૂરી વિગતો સાથે ફરીયાદ નોંધાવવી જોઈએ. 

કોઈપણ નાગરિકે વ્યાજખોરોના ડરથી ગભરાવવાની જરૂર નથી, કોઈ વ્યક્તિ તમારી પાસેથી ગેરકાયદેસર વ્યાજની ઉઘરાણી કરી બળજબરીથી લખાણ કરાવતા હોય તો તરત જ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ જેથી જરૂર પડે જેતે વિસ્તારના પોલીસ તમને મદદરૂપ થશે. પોલીસ સમક્ષ રજુઆત કર્યા બાદ તરત જ તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરાશે અને જરૂર પડે પીડીતને પોલીસ રક્ષણ પુરૂ પાડવામાં આવશે જેના માટે ભોગ બનનારે પોલીસ તંત્રને સહયોગ આપવો જરૂરી છે. જિલ્લા પોલીસવડાએ મની- લોન્ડરિંગ ડ્રાઈવનો ઝડપથી અમલ થાય અને પીડીતોને ફરીયાદ નોંધાવવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાના ૧૪ પોલીસ સ્ટેશન અંતર્ગત હિંમતનગર-એ, બી, ગ્રામ્ય, ગાંભોઈ, પ્રાંતિજ, તલોદ, ઈડર, જાદર, વડાલી, ખેડબ્રહ્મા, ખેરોજ, પોશીના, વિજયનગર અને ચિઠોડા પોલીસ સ્ટેશનના સંપર્ક નંબર જાહેર કરાયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
100 %
હિંમતનગર પાલિકાના પદાધિકારીઓની મુદત પૂર્ણ થતાં જતા રહયા પણ સમસ્યાઓ મુક્તા ગયા. વોર્ડ નં.૭માં ઉભરાતી ગટરોનો નિકાલ ન થતાં રહીશો તોબા. સોશ્યલ મીડીયા પર પદાધિકારીઓએ મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની.
0 0
Read Time:2 Minute, 4 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

હિંમતનગર નગરપાલિકામાં પાંચ વર્ષ અગાઉ ચુંટાયેલા પદાધિકારીઓની ગત તા.૧૬ માર્ચના રોજ પૂર્ણ થતાં નગરપાલિકામાં વહીવટદારનું શાસન આવી ગયું છે ત્યારે મોટાભાગના વોર્ડમાંથી ચુંટાયેલા કોર્પોરેટરોએ સોશ્યલ મીડીયાના માધ્યમથી મુકેલી આભારની વિગતો હાસ્યાસ્પદ બની છે. દરમ્યાન વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીક છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ગટરોની સમસ્યાનો નિવેડો આવ્યો ન હોવાને કારણે સ્થાનિક રહીશો નર્કાગારમાં જીવી રહયા હોય તેવું લાગે છે. 

હિંમતનગર પાલિકાના વોર્ડ નં.૭માં આવેલ રામજી મંદિર નજીકની ગટર છેલ્લા ગણા સમયથી ચોકઅપ થઈ ગઈ હોવાને કારણે ગંદુ પાણી રસ્તા પર વહી રહયું છે જેના લીધે આ વિસ્તારમાં કાયમી બદબુ ફેંલાય છે જોકે અગાઉ પણ રહીશોએ નગરપાલિકામાં રજુઆતો કરી હોવા છતાં અધિકારીઓ અને પદાધિકારીઓને જાણે કે કંઈ પડી નથી તેવું માને છે જયારે રહીશો રજુઆત કરવા જાય ત્યારે કેટલાક પદાધિકારીઓ અમારી મુદત પૂર્ણ થઈ ગઈ છે. તેમ કહીને રજુઆત કરનારાઓને સાંભળવાને બદલે નગરપાલિકામાં જવાનો આડકતરો ઈશારો કરી દે છે.

દરમ્યાન આગામી સમયમાં યોજાનાર નગરપાલિકાની ચુંટણીમાં વોર્ડ નં.૭ના મતદારો પણ ઉમેદવાર જયારે મત માંગવા માટે આવશે ત્યારે તેમની પાસેથી કામના હિસાબો માંગવાનું નક્કી કરી દીધુ છે. હાલ તો ગટર ઉભરાવવાની સમસ્યાને લઈને સ્થાનિક રહીશો તંત્ર દ્વારા ઝડપથી સમસ્યાનું નિવારણ થાય તેમ ઈચ્છી રહયા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
હિંમતનગરમાં હુડા સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ માટે સરકારે પરવાનગી આપી. નવ ગામના રહીશોને હવે બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા કલેકટર કચેરીમાં જવું પડશે. સ્થાનિક રહીશોની મુશ્કેલી વધવાના એંધાણ.  
0 0
Read Time:3 Minute, 16 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

રાજય સરકાર દ્વારા થોડાક સમય અગાઉ હિંમતનગરમાંથી હુડા રદ કરવાનો નિર્ણય લેવાયા બાદ તાજેતરમાં ગમે તે કારણસર રાજય સરકાર દ્વારા હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં બાંધકામ કરવા માટે મંજુરી અપાઈ છે ત્યારે હવે પછી હુડામાં સમાવિષ્ટ ગામના લોકોને બાંધકામની રજાચીઠ્ઠી મેળવવા માટે કલેકટર કચેરીમાં જવું પડશે જેના લીધે બાંધકામ કરવા માંગતા મિલ્કત ધારકોને રજાચીઠ્ઠી મેળવવા માટેની કામગીરી વિલંબીત બને તેવા સંજોગો ઉભા થયા છે.

આ અંગે આધારભુત સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ થોડાક મહિના અગાઉ હિંમતનગરમાં સમાવિષ્ટ સુચિત નવ ગ્રામના રહીશોએ હુડા રદ કરવા માટે તબક્કાવાર આંદોલનો શરૂ કર્યા હતા ત્યારબાદ રાજય સરકારે તત્કાલિન સમયે હુડાનો અમલ મુલત્વી રાખવાનો નિર્ણય લીધા બાદ સુચિત નકશો પણ પાછો ખેંચી લીધો હતો જેના લીધે નવ ગામની પ્રજામાં આનંદની લાગણી પ્રસરી હતી દરમ્યાન સરકારે પણ આગામી સમયમાં યોજાનાર ચુંટણીઓ પૂર્વે સીફત પૂર્વક નિર્ણય કરીને હુડામાં સમાવિષ્ટ મિલ્કતોમાં બાંધકામ કરવા માટે મંજુરી આપી દીધી છે. જે સંદર્ભે તાજેતરમાં હિંમતનગરના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, મહામંત્રી પ્રેમલ દેસાઈ, બિપીન ઓઝા, ગણપતસિંહ ઝાલા તથા એન્જીનીયર એસોસીએશનના અગ્રણીઓએ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા નાણાંમંત્રી કનુભાઈ દેસાઈની મુલાકાત લઈને હુડામાં સમાવિષ્ટ વિસ્તારોમાં બાંધકામ કરવાની મંજુરી અંગે રજુઆત કરી હતી. 

ત્યારબાદ સરકાર દ્વારા મંગળવારે સત્તાવાર પરિપત્ર શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના સેકશન અધિકારી નિમેષ એમ.મંધરાની સહીથી બહાર પાડીને બાંધકામને મંજુરી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જોકે સરકારના આ પરિપત્રને કારણે અત્યાર સુધી નવ ગામની પ્રજા પોતાની મિલ્કત કે જમીન પર નવું બાંધકામ કરવું હોય તો સ્થાનિક પંચાયત પાસેથી રજાચીઠ્ઠી મેળવતી હતી પરંતુ હવે હુડામાં સમાવિષ્ટ નવ ગામની જમીનમાં નવું બાંધકામ કરવાનું થાય ત્યારે મિલ્કત ધારકે જિલ્લા કલેકટર કચેરીમાંથી રજાચીઠ્ઠી મેળવવી પડશે. ત્યારબાદ આગામી સમયમાં બાંધકામની મંજુરી અંગે કેવા પ્રત્યાઘાત પડે છે તે માટે હાલના તબક્કે રાહ જોવી હિતાવહ છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ધ્રાંગધ્રાના તબિબને એનડીપીએસમાં ફસાવી પૈસા પડાવતી ગેંગ પકડાઈ. આઈબીની ખોટી ઓળખ આપનાર છ પકડાયા. હિંમતનગરના પોલીસ કોન્સ્ટેબલ અને હોમગાર્ડની સંડોવણી હોવાનું ખુલ્યું
0 0
Read Time:5 Minute, 2 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસે ધ્રાંગધ્રા-વિરમગામ નેશનલ હાઇવે પર ડોક્ટરને એનડીપીએસના ખોટા કેસમાં ફસાવી પૈસા પડાવવાનો પ્રયાસ કરનાર ગેંગના ૬ આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગના સભ્યો આઈબી, પોલીસ કર્મચારી અને હોમગાર્ડનીખોટી ઓળખ આપતા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો શોધી કાઢી ગુનામાં વપરાયેલી રૂ.૧૦ લાખની બે ફોર વ્હીલ કાર, રૂ.૩૦ હજારના પાંચ મોબાઇલ સાથે ઝડપી લીધા હતા. ત્યારબાદ ધ્રાંગધ્રા પોલીસે વધુ વિગત માટે કોર્ટમાં રજુ કર્યા હતા જયાં ન્યાયાધિશે તેમના તા.ર૦ માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલાઓમાં હિંમતનગરના ભરચક વિસ્તારમાં આવેલ એક પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ અને હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બે જણાનો સમાવેશ થાય છે. સમગ્ર ઘટનાને લઈને સાબરકાંઠા પોલીસની આબરૂનું વધુ એક વખત લીલામ થયું છે.

આ અંગેની વિગત એવી છે કે ગત તા.૧૧ માર્ચના રોજ માલવણ-વિરમગામ હાઇવે પર ટોલબૂથ નજીક બનેલી ઘટના મુજબ ધ્રાંગધ્રાના ડોક્ટર આશિષ ચંપકલાલ શાહ અમદાવાદ તરફ જઈ રહ્યા હતા ત્યારે કાર નં. જીજે.૧૩સીડી.પ૮૪પમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ તબિબને અટકાવી ચાર પૈકી બે જણાએ ખાખી પોલીસ યુનિફોર્મ પહેર્યો હતો જ્યારે એક પુરુષ અને એક મહિલા સાદા કપડામાં હતા. ત્યારબાદ વાહન ચેકિંગના બહાને ડોક્ટર શાહને ઉભા રખાવ્યા હતા અને તેમની ગાડીમાંથી ડ્રગ્સની પડીકી મળી હોવાનું કહી ડોક્ટરના ફોટા પાડી તેમની પાસેથી પૈસાની માંગણી કરી હતી. પરંતુ તબિબે બજાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે બજાણા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં.૧૧૨૧૧૦૫૮૨૬૦૦૭૬/૨૦૨૬ હેઠળ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૮(૬), ૨૦૪, ૧૨૬(૨), ૬૨, ૬૧(૨)(બી), ૫૪ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જે સંદર્ભે રાજકોટ વિભાગના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિરલિપ્ત રાયની અને પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ તથા ધ્રાંગધ્રા ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક જે.ડી.પુરોહિતના માર્ગદર્શન હેઠળ એક્શન પ્લાન બનાવાયો હતો.જેના ભાગરૂપે બજાણા પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમો બનાવી આ ગુનાનો ભેદ ઉકેલવા અને મુદ્દામાલ શોધવા માટે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે ગુનામાં વપરાયેલી કાર ચલાવનાર નિલેશભાઈ ઉમેદરામ રામાનુજ (રહે. હામપર, તા. ધ્રાંગધ્રા), અમદાવાદમાં ફોટોગ્રાફીનો ધંધો કરનાર સહિત પાંચ જણા વિરૂધ્ધ ગુનો દાખલ કરાયો હતો ત્યારબાદ તપાસને અંતે પોલીસે તમામને મંગળવારે ઝડપી લીધા હતા અને વધુ તપાસ માટે બજાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સ્થાનિક કોર્ટમાં રજુ કર્યા હતા જયાં ન્યાયાધિશે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તા.ર૦ માર્ચ સુધીના રીમાન્ડ મંજુર કર્યા હતા.

જીગ્નેશ સોની હિંમતનગર

(કોણ પકડાયું)

-વૈભવસિંહ મહેન્દ્રસિંહ વાઘેલા ઉ.વ.૪૦ ધંધો.નોકરી(પોલીસ કોન્સટેબલ) રહે.૧૨૭ ચિત્રકૂટ સોસાયટી, મહાવીરનગર હિંમતનગર

-આસિફશા ઇકબાલશા દીવાન ઉવ-૪૪ ધંધો- ડ્રાઇવિંગ (હોમ ગાર્ડ હિમતનગર યુનીટ) રહે-પરબડા તા-હિંમતનગર જી-સાબરકાઠા

-કેતન હસમુખભાઈ રાવલ રહે ગાયત્રી મંદિર રોડ હિંમતનગર

-હિતેષકુમાર ચંદુભાઇ પંચાલ જાતે.મીસ્ત્રી(લુહાર-સુથાર) ઉ.વ.૪૦ ધંધો. ફોટોગ્રાફી રહે-અમદાવાદશહેર ગોતા ૧૨૩૦૭ નીલકંઠ એપાર્ટમેન્ટ આઇ.સી.બી.આઇસ લેન્ડની બાજુમાં વંદેમાતરમ ક્રોસ રોડ, મુળ રહે.ધોળકા 

-કુપાબેન વા/ઓ હિતેષભાઇ પંચાલ જાતે.લુહાર-સુથાર ઉ.વ.૩૭ ધંધો.મજુરીકામ રહે-અમદાવાદ,ગોતા ૧૨૩૦૭ નીલકંઠ એપાર્ટમેન્ટ

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %
ઈડરના બરવાવમાં રમતા બાળકને શ્વાનએ બચકા ભરતાં ઈજાગ્રસ્તને સારવાર માટે લવાયો.
0 0
Read Time:2 Minute, 34 Second

રિપોર્ટ :- જીગ્નેશ સોની હિંમતનગર

ઇડર તાલુકાના બરવાવની સીમમાં રહેતા એક પરિવારનો ચાર વર્ષનો પુત્ર કુવા નજીક રમી રહયો હતો ત્યારે અચાનક આવેલ એક શ્વાનએ હુમલા કરતાં માસૂમ બાળક લોહીલુહાણ બની જતાં ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારબાદ ઈજાગ્રસ્ત આ બાળકને સારવાર માટે લઈ જવાયો હતો. 

આ અંગેની વિગત એવી છે કે બરવાવ ગામના લાલજીભાઈ વિરસંગભાઈ ચૌધરીના કુવા ઉપર ઘઉં સીઝન દરમિયાન ખેડબ્રહ્મા તાલુકાના સિતોડ ગામના ડાભી સુનિલભાઈ મજૂરી કામ માટે આવ્યા હતા દરમ્યાન બુધવારે સવારે ૯ વાગ્યાના સમયે સુનિલભાઈ ખેતરમાં ઘઉં વાઢવાની કામગીરીમાં વ્યસ્ત હતા. ત્યારે તેમનો ૪ વર્ષનો દીકરો મનોજ કુવા પાસે રમતો હતો આજ વખતે અચાનક ચઢી આવેલા ત્રણ રખડતા શ્વાનનું ટોળુ આવી ચઢયુ હતું અને રમતા બાળક પર હુમલો કર્યો હતો. શ્વાનના ટોળાએ બાળકના માથા અને પગના ભાગે બચકા ભરતાં ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ત્યારબાદ ઈજાને કારણે આ બાળકની ચીસો સાંભળતા નજીકમાં કામ કરતા તેના પિતા સુનિલભાઈ તથા અન્ય મજૂરો તરત જ દોડી આવ્યા હતા અને હિંમતપૂર્વક બાળકને શ્વાન પાસેથી છોડાવ્યો હતો. જોકે લોકો આવી પહોંચતા ગભરાયેલું શ્વાનનું ટોળુ ભાગી ગયું હતું. 

ત્યારબાદ ઇજાગ્રસ્ત બાળકને તરત જ ઇડર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જોકે, બાળકને શ્વાનના બચકા વધારે પ્રમાણમાં લાગ્યા હોવાથી તેની હાલત ગંભીર જણાતા તબીબોએ વધુ સારવાર માટે તેને હિંમતનગર હોસ્પિટલમાં રિફર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સાબરકાંઠા જિલ્લામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાન તથા અબોલા પશુઓ ગમે ત્યારે હુમલો કરે છે ત્યારે લોકો અજાણતાથી ભોગ બને છે જેથી આમ પ્રજાએ આવા હુમલાખોર ચોપગા પ્રાણીઓથી સાવચેતી રાખવી અનિવાર્ય છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %