
વિદ્યાનગર સ્થિત સ.૫.યુનિ.ના પાંચ પ્રતિભાશાળી અધ્યાપકોને ભારતીય સામાજીક વિજ્ઞાન સંશોધન પરિષદ દ્વારા માઇનર રિસર્ચ પ્રોજેકટ માટે કુલ ૩૨ લાખ જેટલી ગ્રાન્ટ એનાયત કરવામાં આવી છે. જેમાં શિક્ષણશાસ્ત્ર વિભાગના ડો.અલ્કા મેકવાન અને ડો. ભૂમિકા બારોટને સંયુકત રીતે ૯ લાખ, ગ્રંથાલય વિભાગના ડો. મેઘના વ્યાસને ૬.૫૦ લાખ, ઈતિહાસ વિભાગના ડો. વસંત પટેલને ૮ લાખ અને હોમ સાયન્સ વિભાગના ડો. કોમલ પટેલને ૮.૩૦ લાખ પ્રાપ્ત થયા છે. ડો. અલ્કા મેકવાન અને ડો. ભૂમિકા બારોટ ઉચ્ચ શિક્ષણક્ષેત્રે ગુજરાત રાજયના અધ્યાપકો એનઈપી ૨૦૨૦માં ડીજીટલ લર્નિંગ સંદર્ભે કેટલા તૈયાર છે તથા તેમના પ્રત્યક્ષીકરણ આ સંદર્ભે કેવા છે તે સંદર્ભે સંશોધન કરશે. ડો. મેઘના વ્યાસ તેમના સંશોધનમાં ભારતના સામાજીક વિજ્ઞાન સંશોધકોની જર્નલોમાં ઉપસ્થિતિ, તેમના સંશોધનનો વ્યાપ, પ્રભાવ અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ડો.વસંત પટેલ પોરબંદર, જુનાગઢ અને તેની આસપાસમાં વસવાટ કરતી મેર જ્ઞાતિ પર વિશેષ અભ્યાસ કરી તેમની સંસ્કૃતિ, કળા, ભાષા, વેશભૂષા તેમજ તેમની રાષ્ટ્રભાવનાને ઉજાગર કરી મેર સમાજની પરંપરાને રાષ્ટ્રીય કક્ષાએ ઉજાગર કરશે. ડો. કોમલ પટેલ તમાકુની ખેતીમાં કાર્યરત મહિલાઓને થતી કાર્ય સંબંધિત કંકાલ-સ્નાયુતંત્રની બિમારીઓ અને તેમના આરોગ્ય પર પડતા શારીરિક-માનસિક અસરોનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરશે. સમગ્ર યુનિવર્સિટી પરિવારે તમામ અધ્યાપકોને અભિનંદન અને તેમના ભાવિ સંશોધન માટે શુભકામનાઓ પાઠવી હતી.