રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર જજનું ટ્રાન્સફર
હેમંત પ્રચ્છકે મોદી સરનેમ માનહાનિ કેસની કરી હતી સુનાવણી
અમદાવાદ
ગુજરાત હાઇકોર્ટના 4 જસ્ટિસની ટ્રાન્સફર થઇ છે. જેમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાનો ઈન્કાર કરનાર જજનું ટ્રાન્સફર થયુ છે. તેમાં જસ્ટિસ હેમંત.એમ.પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં બદલી કરવામાં આવી છે. હેમંત પ્રચ્છકે મોદી સરનેમ માનહાનિ કેસની સુનાવણી કરી હતી.ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ અલ્પેશ વૈન કોગજેનું ટ્રાન્સફર થયુ છે. તેમજ જસ્ટિસ કુમારી ગીતા ગોપી અને સમીર જે. દવેનું ટ્રાન્સફર કરાયુ છે. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટની કોલજિયમ દ્વારા અલ્હાબાદ હાઇકોર્ટના જજ સુનિતા અગ્રવાલને ગુજરાત હાઇકોર્ટના ચીફ જજ અને ગુજરાત હાઇકોર્ટના એક્ટિંગ ચીફ જજ આશિષ. જે. દેસાઈને કેરાલા હાઇકોર્ટના ચીફ જજ બનાવવા માટે ભલામણ કરાઈ હતી. જેને રાષ્ટ્રપતિની મંજૂરી મળતા ગુજરાત હાઇકોર્ટને બીજા નવા મહિલા મુખ્ય ન્યાયાધીશ મળ્યા છે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચુડ અને અન્ય ચાર જજોની બનેલી કોલેજિયમની 3 ઓગષ્ટના રોજ મળેલ મિટિંગમાં દેશની હાઇકોર્ટોમાં જજની બદલીની ભલામણ કરવામાં આવી છે. જેમાં ગુજરાત હાઇકોર્ટના ચાર જજને અન્ય હાઇકોર્ટમાં બદલીની ભલામણ કરાઈ છે. તો પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના જજ અવનીશ જીંગાનની અને આંધ્રપ્રદેશ હાઇકોર્ટના જજ માનવેન્દ્રનાથ રોયની ગુજરાત હાઇકોર્ટમાં ટ્રાન્સફર માટે ભલામણ કરાઈ છે.